રાજકોટ
News of Wednesday, 17th February 2021

રિઝર્વે બેંક ઓફ ઇંડીયા દ્વારા અર્બન કો-ઓપરેટીવ બેંકોનું માળખુ મજબુત બનાવતી કમીટીમાં જયોતિન્દ્રભાઇ મહેતાની વરણી

રાજકોટ, તા. ૧૭ : બેંકિંગ રેંગ્યુલેશન એકટ ૧૯૪૯માં તાજેતરમાં કરવામાં આવેલ સુધારા પછી અર્બન કો-ઓપરેટીવ બેંકોનું માળખુ  મજબુત બને તે માટેનો રોડમેપ તૈયાર કરવા માટે એકસપર્ટ સમિતિનું બંધારણ રિઝર્વ બેંક ઓફ ઇંડીયા દ્વારા જાહેર  કરવામાં આવ્યું છે. તેના ચેરમેન તરીકે આર.બી.આઈ.ઇ.ના પૂર્વ ડેપ્યુટી ગર્વનર એન. એસ. વિશ્વનાથનની વરણી  કરવામાં આવી છે. આ સમિતિમાં સહકારી અગ્રણી અને નેશનલ ફેડરૅશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ એન્ડ  ક્રેડિટ સોસાયટી (નાફકબ)ના ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે. આ સમિતિમાં કુલ ૬ સભ્યો  લેવામાં આવ્યા છે.   

ઇ.સ. ૧૯૮૬થી રાજકોટ નાગરિક સહકારી બેંકમાં ડિરેકટર તરીકે સેવારત જ્યોતિન્દ્રભાઇ મહેતા સાડા ત્રણ દાયકાનો  સહકારી ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેઓ પૂર્વ ચેરમેન અને ડિરેકટર-રાજકોટ નાગરિક સહકરી બેંક લિ., અધ્યક્ષ- ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરૅશન, સહકારી ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા નાફકબના પ્રેસિડન્ટ, અખિલ ભારતીય  સહકાર ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પેટ્રન એનસીયુઆઇના ડિરેકટર, એનસીડીસીના કાઉન્સીલર તરીકે  જવાબદારી નિભાવી રહ્યા છે.   

અત્રે ઉલેખનીય છે કે ગુજરાતમાં અકલ્પનીય સફળ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટે તેઓની ભૂમિકા  પાયાના પથ્થરની રહી છે. આવી જ રીતે ગુજરાત અર્બન ફેડરેશન દ્વારા સતત બે વખત કે.જી. ટુ પી.જી.ના વિદ્યાર્થીઓને  અદ્યતન શિક્ષણ માટે ઉપયોગ કોમ્પ્યુટર સરળ હપ્તેથી મળી રહે તે માટે ફલડ આઇ.ટી. પ્રોજેકટ કરેલો અને લાભ બહોળી  સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ચેરમેનપદે કાર્યરત જ્યોતિન્દ્રભાઇ  મહેતાએ ઈ.સ. ૨૦૧૨-૨૦૧૩માં બેંકના ષષ્ઠીપૂર્તિ વર્ષ અંતર્ગત ૬૦ હજારથી વધુ સેવિંગ્ઝ ખાતા ખોલાવી  ફાઇનાન્સીયલ લીટરસી માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.   

હાલમાં તેઓ અદ્યતન ટેકનોલોજીનો લાભ નાની અને મધ્યમ કદની સહકારી બેંકોને સરળતાથી મળી રહે તે માટે  સહકારી બેકોને માટે અંબ્રેલા ઓગેનાઇઝેશનનો ડ્રીમ પ્રોજેકટનું સુકાન સંભાળી રહ્યા છે.   

જ્યોતિન્દ્રભાઇ મહેતા (મો.૯૪૨૭૬ ૧૩૭૦૧) ને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

(3:45 pm IST)