વિકાસ સંભાવનાઓમાં હકારાત્મક અભિગમ જરૂરીઃ પરાક્રમસિંહ જાડેજા
ગોંડલમાં ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની વાર્ષિક પરિષદ યોજાઇ-ચર્ચા
રાજકોટ : ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની ૪૮મી વાર્ષિક પરિષદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ઐતિહાસિક મહાવિદ્યાલય, મહારાજાશ્રી ભગવતસિંહજી આટર્સ એન્ડ કોમર્સ કોલેજ, ગોંડલના નેજા હેઠળ યોજાયેલ. ૪૮મી વાર્ષિક પરિષદનો મંગલ પ્રારંભ મહિલા ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યો છે. ઉદ્દઘાટન સમારોહમાં મુંબઇ યુનિવર્સિટીના ભુતપુર્વ કુલપતિ તેમજ ભુતપુર્વ સાંસદ ડો.ભાલચંદ્ર મુંગેકર, એસોસીએશનના અધ્યક્ષ પ્રા.ડો.રોહિતભાઇ શુકલ, આગ્રાની સેન્ટ જોન્સ કોલેજના પ્રા.ડો.આલોક કુમાર, ઓલ ઇન્ડિયા ઇકોનોમીક એસોસીએશનના મહામંત્રી અનિલકુમાર ઠાકુર, ગુજરાત અર્થશાસ્ત્ર મંડળના સેક્રેટરી મોહનભાઇ પટેલ, ગોંડલ નગરપાલિકાના પ્રમુખ, શ્રીમતી મનીષાબેન બી. સાવલિયા, કારોબારી ચેરમેન પૃથ્વીરાજસિંહ જાડેજા, શાસક પક્ષના દંડક તથા એમ.બી.કોલેજ કમીટીના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પરિષદ વિશે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી પ્રા.ડો.કે.આર.રામે સંક્ષિપ્તમાં વિગતો આપી. વિનયન વિદ્યાશાખાના ડીન તથા એમ.બી. કોલેજના આચાર્ય ડો.સહદેવસિંહ ઝાલાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કર્યુ હતુ. ગુજરાત અર્થશાસ્ત્ર મંડળની કામગીરીનો સંક્ષિપ્ત અહેવાલ મંડળના સેક્રેટરી મોહનભાઇ પટેલે રજુ કરેલ. સમારંભના અંતે આભારદર્શન વી.એમ.ગોહિલે ૪૮મી વાર્ષિક પરિષદના અધ્યક્ષ પ્રા.ડો.મુંગેકરે આર્થિક અસમાનતાને કેન્દ્રમાં રાખીને ભારતમાં પ્રવર્તમાન આર્થિક પ્રશ્નોની સ્પષ્ટ રજુઆત કરી હતી. ડો.મુંગેકરે ઉદ્દબોધન અંગે મંડળના અધ્યક્ષ પ્રા.ડો.રોહીતભાઇ શુકલએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. અધિવેશનના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના વિકાસના આર્થિક પ્રશ્નો અને પડકારો વિષય ઉપર જુથ ચર્ચા યોજેલ. જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઉદ્યોગ સાહસિક અને વૈશ્વિક અર્થકારણના ઉંડા અભ્યાસી તથા જયોતી સીએનસી મેટોડાના એમ.ડી. પરાક્રમસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રમાં વિકાસની સંભાવનાઓ પર હકારાત્મક અભિગમ અપનાવવા પર ભાર મુકેલ. તેઓએ જણાવેલ કે, સૌરાષ્ટ્રમાં વિકાસની અપાર સંભાવનાઓ છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ગૃહો વચ્ચે કયાંક ગેપ રહી ગયેલ છે. જેને પુરવો જરૂરી છે. શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ ગૃહો વચ્ચે સંકલન કરી ઉદ્યોગોની જરૂરીયાત અનુસાર માનવશકિત આયોજન પર ભાર મુકેલ. તેઓએ સરકારના સ્ટાર્ટપ ઇન્ડિયાના અભિગમની સરાહના કરેલ. જુથ ચર્ચાના બીજા પ્રતિનિધિ પ્રા.ડો.તુષાર હાથીએ ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં સૌરાષ્ટ્રના પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાનમાં લઇ, આર્થિક ઉપક્રમશીલતા અંગે વધુ સુસજ્જ બનવા માટે ખાસ કરીને ચીલાચાલુ માર્ગથી દુર રહી, નવી પેઢી નવપ્રવર્તનના રાહને અને તેમાં શાસન વિધાયક સહયોગ આપે, તેવી લાગણી વ્યકત કરી હતી.(૩-૧૬)