રાજકોટ
News of Friday, 17th January 2020

ધર્મગ્રંથોએ આપણી પૌરાણિક વિરાસત છે

કથાશ્રવણ થકી માનવજીવનમાં સદગુણોનો વિકાસ થાય છે : પ્રજાની આવશ્યકતા પરિપૂર્ણ કરવા રાજય સરકાર પ્રતિબધ્ધ : રાજકોટના શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ની પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ, તા.૧૭ , મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી રાજકોટમાં આલાપ ગ્રીન સીટી પાસેનાં શાંતિનીકેતન એવન્યુ ખાતે યોજાયેલી શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ  પારાયણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, પારિવારિક ભાવનાથી યોજાયેલ ભાગવત સપ્તાહમાં સહયોગી થવાનો મને મોકો પ્રાપ્ત થયો, તેને હું મારૂ સદભાગ્ય સમજુ છું. ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા થકી માનવ જીવન સુંદર બને છે. કથાના શ્રવણ થકી આપણા જીવનને સદગુણથી ભરી શકાય છે. ભાગવત સપ્તાહના શ્રવણ થકી સૌ પ્રત્યે પ્રેમ, દયા, કરૂણાનો ભાવ આપણા હદયમાં વહે છે. માનવ કલ્યાણ માટે ખૂબ સારૂં ભાથું ભાગવત સપ્તાહમાં રહેલુ છે. ભાગવત સપ્તાહ જેવા ગ્રંથોએ આપણી  વિરાસત છે. પ્રજાના માટે આવશ્યક જરૂરિયાતો, વિકાસકામો પૂર્ણ કરવા સરકાર પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી તથા તેમના ધર્મ પત્નીએ શ્રીમદ્  ભાગવતની પોથીનું પૂજન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીનું ફુલહાર, શાલ, મોમેંટો આપી સન્માન કરાયું હતું. શ્રી શૈલેષ ડોડિયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. શાંતિનિકેતન એવેન્યુ પરિવારના પિતૃના મોક્ષ અર્થે તા. ૨૧ સુધી યોજાયેલી ભાગવત સપ્તાહમાં રાજકોટના શ્રી જયંતિબાપુએ સંગીતબદ્ધ શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતું.

       આ પ્રસંગે રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, અગ્રણીશ્રી કમલેશભાઇ મિરાણી, પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરિયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી પરિમલ પંડયા, શાંતિનીકેતન એવન્યુના પ્રમુખશ્રી શૈલેષભાઇ ડોડિયા, શ્રી અરવિંદભાઇ બોરીસાગર, શ્રી ધીરૂભાઇ માંકડ, શ્રી સંજયભાઇ કોટેચા, શ્રી હિતેષ રાઠોડ, શ્રી દિપકભાઇ શાહ, શ્રી નિરજભાઇ દાવડા તથા અન્ય કમિટી મેમ્બર તથા મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:51 pm IST)