અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ડ્રોનથી ફસાયેલ પક્ષીઓને બચાવાયા
રાજકોટ,તા.૧૭: રાષ્ટ્રસંત યુગ દિવાકર પૂ.પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના બીજા દિવસે એટલે કે ૧૫મી જાન્યુઆરીના રોજ ડ્રોન કેમેરાની મદદથી શહેરના અલગ અલગ એરિયામાં જઈ ફસાયેલા પક્ષીઓ છે ત્યાં કરૂણા કાઉન્ડેશનની ટીમને બોલાવીને પક્ષીઓને કરૂણા ફાઉન્ડેશનની હંગામી હોસ્પિટલ ત્રિકોણબાગ ખાતે લઈ આવીને તેમની સારવારની કરી અબોલ જીવનોને બચાવવામાં આવ્યા હતા.
શહેરના યુનિવર્સિટી રોડ, મહિલા કોલેજ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, ચંદ્રેશનગર, અંબિકા ટાઉન શીપ, જીવરાજ પાર્ક, મવડી, પર્ણકુટીર સોસાયટી, જૂની કલેકટર કચેરી, સોરઠીયા વાડી, હરીધવા રોડ, પુનીતનગર, રૈયા રોડ, રૈયા ગામ, માધાપર ચોકડી, કોઠારીયા રોડ, ગોંડલ રોડ, દોશી હોસ્પિટલ રોડ, જામનગર રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ વગેરે સ્થળોએ ડ્રોન કેમેરાની સાથે રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
કરૂણા ફાઉન્ડેશન દ્વારા હંગામી હોસ્પિટલ ત્રિકોણબાગ ખાતે શરૂ કરવામાં આવી હતી અને સાથે સાથે રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ હંગામી હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં આશરે ૫૫૦ ઘવાયેલા પક્ષીઓ આવતા તેમની સારવાર કરી બચાવવામાં આવેલ છે.
અર્હમ યુવા સેવા ગ્રુપના મેમ્બરોએ કરૂણા ફાઉન્ડેશન અને એનીમલ હેલ્પલાઈનની ટીમ સાથે અબોલ જીવોને બચાવવા માટે બે દિવસ સુધી સતત કાર્યશીલ રહીને સેવા બજાવેલી હતી.