વેકિસનનાં બન્ને ડોઝ છતા કોરોના કેડો મુકતો નથીઃ શહેરમાં કાલે ૭ કેસ નોંધાયા
શહેરમાં હવે દરરોજ કોરોનાનાં દર્દીઓમાં વધારો થતાં તંત્ર હાંફળુઅફાંફળુ
૨ દર્દીઓ જયપુર અને ઉજજૈનની ટ્રાવેલ હિસ્ટ્રીઃ ૧૧ વર્ષીય બાળકી , ૫૧ , ૬૦ અને ૪૦ વર્ષીય મહિલાઓ તેમજ ૩૮ અને ૨૭ વર્ષીય યુવાન અને ૬૯ વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિતઃ ૬ દર્દીઓએ વેકસીનના બંને ડોઝ લીધા છે
રાજકોટ,તા.૧૬: શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે.ગઇકાલે રાવલનગર , જીવરાજપાર્ક , એ.જી.ચોક , નિવેદિતા સ્કુલ પાછળ , બીગ બઝાર તથા પંચવટી રોડ વિસ્તારમાં રહેતા ૪ મહિલા અને ત્રણ પુરુષો સહિત કુલ ૭ લોકોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતામનપાનાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. લોકોમાં ફફડાટ ફેલાઇ રહયો છે. આજ બપોર સુધીમાં ફરી શુન્ય કેસ નોંધાયા છે. શહેરમાં હાલ ૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે. આજ દિન સુધીમાં કુલ ૪૨,૯૧૦ કેસ નોંધાયા છે.
ગઇકાલે ૭ કેસ નોંધાયા
શહેરમાં ગઇકાલે ૭ કેસ નોંધાયા છે. જેમાં વોર્ડ નં .૧૧ માં એક જ પરિવારના ૩૮ વર્ષીય પુરુષ અને ૧૧ વર્ષીય યુવતી, વોર્ડ નં .૧૦ માં આવેલા રાવલનગરમાં રહેતા અને ઉજ્જૈનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ૬૦ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, વોર્ડ નં .૧૦ માં આવેલા એ.જી ચોક નજીક રહેતા અને જયપુરની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ૨૭ વર્ષીય યુવાન, વોર્ડ નં .૧૦ માં આવેલ નિવેદિતા સ્કૂલ પાછળ રહેતા ૫૧ વર્ષીય મહિલા, વોર્ડ નં .૮ ના પંચવટી મેઈન રોડ પર રહેતા ૪૦ વર્ષીય મહિલા, વોર્ડ નં .૧૧નાં બિગ બજાર સામેના વિસ્તારમાં રહેતા ૬૯ વર્ષીય વૃદ્ઘ કોરોના સંક્રમિત થયા છે.
બપોર સુધીમાં '૦' કેસ
મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૯૧૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૪૨૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૧૯૮૦ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૭ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૩૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૫,૧૧,૧૮૩ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૯૦૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૬ ટકાએ પહોંચ્યો છે.