પત્નિ સાથે ચડભડ થતાં રિક્ષાચાલક બાબુભાઇનો ગળાફાંસો ખાઇ આપઘાત
૮૦ ફુટ રોડ પર આંબેડકરનગરમાં બનાવથી અરેરાટી : ચાર દિવસ પહેલા સસરાને ત્યાં ધાર્મિક પ્રસંગે ગયેલા ત્યારથી દંપતિ વચ્ચે ચડભડ ચાલતી હતીઃ આજે ફરી ઝઘડો થતાં પગલું
રાજકોટ તા. ૧૬: થોરાળા વિસ્તારના ૮૦ ફુટ રોડ પર આંબેડકરનગર-૧૧માં રહેતાં રિક્ષાચાલક બાબુભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.૩૭) નામના યુવાને પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.આપઘાત કરનાર બાબુભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. પરિવારજનના કહેવા મુજબ ચારેક દિવસ પહેલા બાબુભાઇના સસરા કે જે ભાવનગરના ઉમરાળા પાસેના રતનપરમાં રહે છે ત્યાં ધાર્મિક કાર્યક્રમ હોઇ બાબુભાઇ પોતાના પત્નિ સાથે ત્યાં ગયા હતાં. તે વખતે તે ગામમાં આટો મારવા ગયા હોઇ પત્નિએ પ્રસંગમાં આવ્યા હોઇ ઘરે જ રહેવાનું કહેતાં બંને વચ્ચે ચડભડ થઇ હતી. એ પછી રાજકોટ પરત આવી ગયા પછી પણ બે દિવસથી બંને વચ્ચે આ મામલે ચડભડ થતી હતી. આજે ફરીવાર બોલાચાલી થતાં પત્નિએ પોતે ફરિયાદ કરવા જશે તેમ કહેતાં બાબુભાઇએ આ પગલુ ભરી લીધું હતું.
થોરાળાના પીએસઆઇ એચ. બી. વડાવીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.