ગંજીવાડામાં ૨૪ વર્ષના જીતેન્દ્રનો આપઘાતઃ મધરાતે મા જાગી તો દિકરો લટકતો મળ્યો
બે બહેનનો એકનો એક ભાઇ હતોઃ કારણ અંગે સ્વજનો અજાણ
રાજકોટ તા. ૧૬: ગંજીવાડા શેરી નં. ૪૮માં રહેતાં જીતેન્દ્ર દિનેશભાઇ ચાવડા (ઉ.વ.૨૪) નામના ચમાર યુવાને મોડી રાતે રૂમમાં પતરાની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જીતેન્દ્ર બે બહેનનો એકનો એક વચેટ ભાઇ હતો. તે અપરિણિત હતો અને કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા દિનેશભાઇ ચાવડા જંકશન વિસ્તારમાં બૂટ ચપ્પલ રિપેરીંગનું કામ કરે છે. જીતેન્દ્રના માતા દક્ષાબેન રાતે અઢી વાગ્યે ઉંઘ ઉડતાં પાણી પીવા ગયા ત્યારે પુત્રને લટકતો જોતાં દેકારો મચી ગયો હતો.
બનાવ અંગે થોરાળા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. જીતેન્દ્રએ આપઘાત શા માટે કર્યો? તે અંગે પોતે અજાણ હોવાનું પિતા દિનેશભાઇ સહિતના સ્વજનોએ કહ્યું હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.