રાજકોટ
News of Monday, 16th December 2019

સગાઇ તૂટી જતાં મંગેતરના ઘર પાસે જઇ સળગેલા નવાગામના પ્રવિણ કોળીનું મોત

શુક્રવારે નાગલપર જઇ ઘર પાસે જઇ પગલુ ભર્યુ હતું: સારવારમાં દમ તોડતાં અરેરાટી

રાજકોટ તા. ૧૬: નવાગામ આણંદપર સાત હનુમાન સામે રહેતાં પ્રવિણ બાબુભાઇ અઘોલા (ઉ.વ.૨૪) નામના કોળી યુવાને શુક્રવારે બપોર બાદ કુવાડવાના નાગલપર ગામે પૂર્વ મંગેતરના ઘર પાસે જઇ શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સગાઇ તૂટી ગયા બાદ તેણે આ પગલું ભર્યુ હતું.

જાણવા મળ્યા મુજબ પ્રવિણે શુક્રવારે નવાગામ ઘરેથી નીકળી ગઇ બપોેર ત્રણેક વાગ્યા આસપાસ તેનું સગપણ જે ગામમાં થયું હતું તે નાગલપર ગામે પહોંચી મંગેતરના ઘર નજીક પહોંચી પોતાના શરીરે પેટ્રોલ રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં આગ બુઝાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં સારવાર દરમિયાન રવિવારે સાંજે દમ તોડી દીધો હતો.

પ્રગતિ હોસ્પિટલથી ડો. ખોખરે જાણ કરતાં કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર યુવાન બે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો તથા ઇમિટેશનનું કામ કરતો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:37 am IST)