રાજકોટ
News of Friday, 16th November 2018

પંજાબથી સોરાષ્ટ્રના યાત્રાધામોના દર્શને નીકળેલા મહિલાનું કાળીપાટ પાસે મોત

૪૫ યાત્રાળુઓની બસ તત્કાલ હનુમાન મંદિરે હોલ્ટ થઇ ત્યારે યાત્રીકે હાર્ટએટેક આવી ગયો

રાજકોટ તા. ૧૬: જિંદગીની સફરનો ગમે ત્યારે ગમે ત્યાં અંત આવી જાય છે. પંજાબથી સોૈરાષ્ટ્ર-કચ્છના યાત્રાધામોના દર્શને નીકળેલા ૫૫ વર્ષના મહિલા સાથે આવુ જ થયું છે. ગઇકાલે બસ રાજકોટના ભાવનગર હાઇવે પર કાળીપાટ ખાતેના તત્કાલ હનુમાનજી મંદિરે પહોંચી ત્યારે આ મહિલાને હાર્ટએટેક આવી જતાં તેમની યાત્રા અંતિમયાત્રા બની ગઇ હતી.

 પંજાબથી ૪૫ યાત્રીઓની બસ સોૈરાષ્ટ્ર-કચ્છના ધાર્મિક સ્થળોના પ્રવાસે નીકળી હતી. આ બસ ગઇકાલે કાળીપાટના પાટીયે આવેલા તત્કાલ હનુમાનજી મંદિરે સવારે પહોંચી હતી. સાંજે બધા દ્વારકા દર્શનાર્થે નીકળવાના હતાં. આ યાત્રાળુઓમાં સામેલ મુળ પંજાબ ઇશ્યારપુરના કતરાલા તાબેના મેકરીયા ગામના વતની સુદેશકુમારી તારાસિંઘ રાજપૂત (ઉ.૫૫) સાંજે મંદિરે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. જયેશભાઇ નિમાવત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી સાથી યાત્રાળુઓમાં  શોક છવાઇગયો હતો.

(3:05 pm IST)