અટીકા શ્યામ હોલ પાસે પડી જતાં વિક્રાંતિ સોસાયટીના વૃધ્ધનું મોત
૭૨ વર્ષના ગોવિંદભાઇ પરમારે હોસ્પિટલમાં દમ તોડ્યો
રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ હુડકો કવાર્ટર પાછળ વિક્રાંતિ સોસાયટીમાં રહેતાં ગોવિંદભાઇ પ્રેમજીભાઇ પરમાર (ઉ.૭૨) નામના વૃધ્ધ સાંજે છએક વાગ્યે નહેરૂનગર અટીકા ૮૦ ફુટ રોડ પર શ્યામ હોલ પાસેથી ઇજાગ્રસ્ત મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ બી. બી. કોડીયાતર અને રાઇટર નિલેષભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધને સંતાનમાં ચાર પુત્રી છે. તે ચાલીને આટો મારવા નીકળ્યા ત્યારે રસ્તામાં હાર્ટએટેક આવતાં પડી જતાં માથામાં હેમરેજ થઇ જવાથી મોત નિપજ્યાનું તબિબી તપાસમાં ખુલ્યું હતું. પોલીસે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવથી સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.