ઈદેમિલાદુન્નબી પ્રસંગે સોમવારે દાઉદી વ્હોરા સમાજનું ભવ્ય ઝુલુસ નિકળશે
બદરી મસ્જીિદથી શરૂ થઈ વિવિધ રાજમાર્ગો ઉપર ફરશેઃ વાઅઝ- મઝલીઝ
રાજકોટ,તા.૧૬: ઈસ્લામ ધર્મના સ્થાપક નબી સાહેબ મોહમ્મદ રસુલ્લાહ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ઈદે મિલાદુન્નબીના પ્રસંગે દાઉદી વ્હોરા સમાજની અંજુમને હાતીમી કમીટી રાજકોટ દ્વારા તા.૧૯ સોમવારે રાત્રે મગરીબ ઈશાની નમાઝ બાદ ભવ્ય ઝુલુસ નીકળશે.
આ ઝુલુસ (શોભાયાત્રા)નો કાપડ માર્કેટ પાછળ આવેલ બદરી મસ્જીદથી નીકળીને પરાબજાર, ધર્મેન્દ્રરોડ, લાખાજીરાજ રોડ, દવાબજાર થઈ પ્રહલાદ ટોકીઝ નવા નાકા રોડ પર આવેલ નુર મસ્જીદ ખાતે સંપન્ન થશે. ત્યારબાદ વાઅઝની મજલીસ થશે.
નબી સાહેબના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે દાઉદી વ્હોરા સમાજ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ જ રીતે વિશ્વભરમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઝુલુસ અને વાઅઝ શરીફના કાર્યક્રમો યોજાશે. તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડસએ યાદીમાં જણાવ્યું છે.