સંત-સતીજીઓના ૨૫મીએ વળામણાં
રોયલપાર્ક ઉપાશ્રયમાં સમૂહ ચાતુર્માસ પૂર્ણાહૂતિ અવસર : આચાર્ય પૂજય શ્રી પુરુષોત્ત્।મજી મ.સા.ની પૂણ્ય સ્મૃતિ ઉપલક્ષે સપ્તર્ષિ આચાર્ય વંદનાવલી કાર્યક્રમ યોજાશેઃ જીતુભાઇ બેનાણીના નિવાસેથી દીક્ષાર્થીઓની સંયમ શોભાયાત્રા
રાજકોટઃ તા.૧૬, જૈન શાસનના ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયનું સમ્યક અનુશાસન કરનારા આચાર્ય ભગવંતોના ઉપકારોનું વેદન કરી તેમને ભાવ વંદન કરવા માટે ડુંગર દરબારમાં સપ્તર્ષિ આચાર્ય વંદનાવલીના કાર્યક્રમનું આયોજન તા. ૨૫ને રવિવારે સવારે ૯ કલાકે ડુંગર દરબારમાં કરવામાં આવ્યું છે. આચાર્ય પૂજય શ્રી પુરુષોત્ત્।મજી મહારાજ સાહેબની પૂણ્ય સ્મૃતિ ઉપલક્ષે ગોંડલ સંપ્રદાયના સાત ઉપકારી આચાર્યો - સંપ્રદાયના આદ્યસંસ્થાપક નિદ્રાવિજેતા આચાર્ય પૂજય શ્રી ડુંગરસિંહજી મહારાજ સાહેબ, પટ્ટધર આચાર્ય પૂજય શ્રી ભીમજી સ્વામી, આચાર્ય પૂજય શ્રી નેણશી સ્વામી, આચાર્ય પૂજય શ્રી જેસિંગજી સ્વામી, આચાર્ય પૂજય શ્રી દેવજી સ્વામી, આચાર્ય પૂજય શ્રી જશાજી સ્વામી, આચાર્ય પૂજય શ્રી પુરુષોત્ત્।મજી સ્વામીને સ્મરણપટ પર લાવીને તેઓશ્રીનાં ઉપકારોનું વેદન કરી અહોભાવપૂર્વક ભાવવંદના કરી ભાવિકો ધન્ય થશે.
ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે ૭૫ સંત-સતીજીઓના ઐતિહાસિક ચાતુર્માસ સમૂહ કલ્પ પૂર્ણાહૂતિ અવસરે રવિવારે સવારે ૭.૩૦ કલાકે સંત-સતીજીઓના વળામણાં શ્રી રોયલપાર્ક ઉપાશ્રયથી જીતુભાઇ બેનાણીના નિવાસસ્થાન એટ્લાન્ટિસ એપાર્ટમેન્ટ, સિલ્વર સોસાયટી, કરણ પાર્ક, ૧૫૦ ફૂટ રીંગ રોડ થશે.
જયાં નવકારશી બાદ સવારે ૮.૩૦ કલાકે રાષ્ટ્રસંત પૂજયશ્રીના પરમ શરણમાં દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલી રાજકોટની બે દીકરીઓ મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાલાની સંયમ ભાવનાનું સન્માન અને અનુમોદના કરવા અર્થે ભવ્ય સંયમ શોભાયાત્રાનો પ્રારંભ થશે. રાજકોટના રાજમાર્ગો પર સંયમ ભાવોને પ્રસરાવતી આ શોભાયાત્રા ૯.૩૦ કલાકે ડુંગર દરબારમાં પધારશે.
ડુંગર દરબારમાં આચાર્ય પૂજય શ્રી પુરુષોત્ત્।મજી મહારાજસાહેબની પૂણ્ય સ્મૃતિ ઉપલક્ષે સપ્તર્ષિ આચાર્ય વંદનાવલી કાર્યક્રમની સાથે ધર્મવત્સલ જીતુભાઇ બેનાણીના સુપુત્રી કુ. ધારાબેન બેનાણીના ૩૪માં જન્મોત્સવ નિમિતે દિવ્યાંગ બાળકો દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતિ બાદ માનસિક અને શારીરિક વિકલાંગ બાળકોની સંસ્થાઓને અનુદાન આપી જન્મદિનની ખુશાલી દિવ્યાંગ બાળકો સાથે મનાવવામાં આવશે.
રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં સાંન્નિધ્યે સપ્તર્ષિ આચાર્ય ઉપકારવંદનાવલી તથા સર્વ કાર્યક્રમોંમાં પધારવા શ્રી સંઘે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
મુમુક્ષુ દીકરીઓની દીક્ષા આમંત્રણ પત્રિકાનું આલેખન કરાયું
રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા.નાં સાંનિધ્યે : ઉપકારી ગુરુવર્યોને આશીર્વાદ અને ઉપસ્થિતિની યાચના કરવામાં આવી
રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.નાં પરમ શરણમાં દીક્ષા અંગીકાર કરવા જઈ રહેલી રાજકોટની બે મુમુક્ષુ દીકરીઓ શ્રી ઉપાસનાબેન સંજયભાઈ શેઠ એવમ્ શ્રી આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળાની દીક્ષા આમંત્રણ પત્રિકાનું આલેખન આજે શુક્રવારે તા.૧૬ સવારે ૯.૧૫ કલાકે શ્રી રોયલપાર્ક ઉપાશ્રયમાં કરવામાં આવ્યું હતુ.
રાષ્ટ્રસંત પૂજયશ્રીનાં શ્રીમુખેથી દીક્ષાનો મંત્ર સ્વીકાર કરી સંયમજીવનમાં પા-પા પગલી ભરવા ઉત્સુક મુમુક્ષુ આત્માઓનાં દીક્ષા મહોત્સવનાં દિવસો નજીક આવી રહ્યાં છે ત્યારે આમંત્રણ પત્રિકાનાં આલેખનથી મહોત્સવનો શુભારંભ થઈ રહ્યો છે. ૬૩ ભાવિકો પાઘડી પહેરીને ઉપકારી તીર્થંકર પરમાત્માઓ, ગણધર ભગવંતો, ગુરુ ભગવંતો, દેવલોકના દેવોને દીક્ષા પ્રસંગે ભાવ દેહે ઉપસ્થિત રહીને સફળ સંયમજીવન માટે આશીર્વાદની યાચના કરેલ.