નારાયણનગરમાં શત્રુઘ્ન પાસવાને પૈસા ન દેતાં બે લુખ્ખાએ પેટમાં છરી ભોંકી
રાજકોટ તા. ૧૬: અટિકા ઢેબર કોલોની પાસે નારાયણનગરમાં રહેતાં મુળ યુ.પી.ના આધેડ શત્રુઘ્ન કનૈયાલાલ પાસવાન (ઉ.૪૫) નામના આધેડને રાત્રે બારેક વાગ્યે તે ઘર પાસે બેઠા હતાં ત્યારે અજાણ્યા બે શખ્સોએ આવી પૈસા માંગતા ના પાડતાં પેટમાં છરીનો ઘા ઝીંકી ભાગી ગયા હતાં.
શત્રુઘ્નને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે ભકિતનગર પોલીસને જાણ કરતાં ફરિયાદ નોંધવા તજવીજ કરવામાં આવી હતી. શત્રુઘ્નના કહેવા મુજબ પોતે વર્ષોથી નારાયણનગરમાં રહે છે અને ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરે છે. નશો કરીને આવ્યા હોય તેવા દેવીપૂજક જેવા શખ્સોએ પૈસા માંગતા ના પાડતાં તેણે હુમલો કર્યો હતો અને ભાગી ગયા હતાં. પોતે તેને જોયે ઓળખે છે પણ નામ આવડતાં નથી. પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.