અનલોક-૪ અંતર્ગત રાજકોટ ગ્રામ્યમાં કલેકટરના પ્રતિબંધક હુકમોની મુદ્દત વધારાઇ
રાજકોટ તા. ૧૬ : કોરોનાની મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ કલેકટરશ્રી રેમ્યા મોહને રાજકોટ ગ્રામ્ય જિલ્લાના કન્ટેન્ટમેન્ટ ઝોન, માઈક્રો કન્ટેઈન્મેનટ ઝોન સહિતના સમગ્ર વિસ્તારોમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.
સત્તાધિકારીશ્રીઓની પરવાનગી વગર ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવું નહી. કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન કરવું નહી. ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસના વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર ઘરણાં કે આંદોલન કરવા નહીં તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવાની રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તો તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ વાગ્યા થી રાત્રીના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે.
તમામ પ્રકારની શૈક્ષણિક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે. વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે, ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખી શકાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ SOP મુજબ તા.૨૧/૯ પછી કન્ટેન્મેન્ટ ઝોનનીબહાર શૈક્ષણીક સંસ્થાએામાં ૫૦ ટકા શૈક્ષણિક અને બીન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ/ ટેલીકાઉન્સીલીંગ માટે બોલાવી શકાશે.