રાજકોટ
News of Monday, 16th September 2019

શ્રાદ્ધનું શાસ્ત્રોકત મહાત્મય

શ્રાદ્ધનું પિતૃઓની તૃપ્તિ-મુકિતના ઉપાયો

ભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધનું અનેરૂ મહત્વ છે.શ્રાધ્ધ માટે શાસ્ત્રોની આજ્ઞા જાણવી જરૂરી છે. કારણ કે, શ્રી ભગવાને કોઇપણ ધર્મકાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાનું મહત્વ ભગવદ ગીતા અધ્યાય ૧૬ શ્લોક ૨૩ અને શ્લોક ૨૪માં કહ્યુ છે.

 

અહી શ્રાધ્ધ વિશે માહિતી સ્કંદ મહાપુરાણ, નાગર ખંડ, અધ્યાય ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૭, ૨૧૯માંથી લેવાયા છે. જેનુ કુલ શ્લોક સંખ્યા ૩૧૪ ઉપરોકત શ્લોકમાંથી શ્રાધ્ધ વિશેની સાવ થોડી માહિતી અમારી અલ્પ સમજણ મુજબ ભગવદ ભકતો તેમજ શ્રધ્ધાળુઓની ઉપયોગી થાય તેવા હેતુથી જ અહી  આપી છે. જેના વકતા સુતજી મહારાજ, રોહિતાશ્વ રાજા, શ્રી બ્રહ્મા, ભર્તુયજ્ઞ તથા શ્રોતા ઋષિઓ, માર્કડેય, દેવ-પિતૃઓ, મનુષ્ય પિતૃઓ, આનર્તાધિપતિ....

શ્રાધ્ધ માટેનો સમય કાળ - જે પિતૃઓને વ્હાલી તિથિઓ છે તે કાળમાં નિયમ મુજબ કરેલુ શ્રાધ્ધ અક્ષય બને છે. આસો સુદ નોમ, કાર્તિકની સુદ નોમ, ફાગણની અમાસ, વૈશાખ સુદ ત્રીજ, મકરસંક્રાંતિ, કર્ક સંક્રાંતી, શ્રાવણ વદ આઠમ, વિષુવનો કાળ, અન્ય અષાઢની પુર્ણિમા, સુર્ય સંક્રાંતિનો કાળ, કાર્તિક, ફાગણ, ચૈત્ર, જેઠની પુર્ણિમા, સુર્ય ગ્રહણ વ્યતિપાત.

આ તિથિએ તલ, દર્ભથી યુકત જળ પણ પિતૃઓને અક્ષય બને છે. આ સમય સ્નાન, દાન, જળ, શ્રાધ્ધ વગેરેમાં મહાન ફલ આપનારો સમય છે. જયારે સુર્ય કન્યા રાશીનો થાય છે ત્યારે પિતૃઓ તેમના વંશ પાસેથી શ્રાધ્ધની ઇચ્છા રાખે છે.

અપમૃત્યુ પામેલાનું શ્રાધ્ધની તિથી - શાસ્ત્રથી મૃત્યુ પામેલા, અપમૃત્યુ, અકસ્માત, વિશ વડે અગ્નિમાં, જળમાં ડુબીને, સર્પદંશથી, શિંગડાએ પરોવીન મૃત્યુ પામેલા, ગળે ફાંસો ખાઇને મૃત્યુ થયેલા આ બધાનુ ચૌદશ ઉપર એકોદ્રષ્ટિ શ્રાધ્ધ કરવુ તેથી તેમને તૃપ્તિ મળે.

અમાસે કરાયેલા શ્રાધ્ધનું વિશેષ મહત્વ : સુર્યના હજારો કિરણોમાં અમા નામનું કિરણ શ્રેષ્ઠ છે ચંદ્ર તે દિવસે તે કિરણમાં વસે છે તેથી તે દિવસ અમાવસ્યા તીથી કહેવામાં આવે છે તે દિવસે શાસ્ત્રની વિધી મુજબ શ્રાધ્ધ કરનાર મનુષ્યો સુખી થાય છે તેમ બ્રહ્માજીનુ વચન છે.

જેવી રીતે ઠંડીથી પીડાયેલા લોકો અગ્નિની રજાઇની ઇચ્છા રાખે છે તેવી રીતે ક્ષુધાથી પિડાયેલા પિતૃઓ અમાસે (શ્રાધ્ધ મેળવવાની) ઇચ્છા રાખેલ છે.

જેમ ગરીબ મનુષ્ય ધનની ઇચ્છા કરે છે. ખેડૂતો અનાજની વૃધ્ધિ માટે વર્ષાની ઇચ્છા કરે છે તેમ પિતૃઓ અમાસના શ્રાધ્ધને ઇચ્છે છે.

અમાસ પર જલ થી શાક વગેરે અન્નદાનથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. અમાસ પર શ્રાધ્ધ કરનારને મહાન ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાધ્ધમાં દક્ષિણાનું અનન્ય મહત્વ  : જો શ્રાધ્ધ (અજાણતાથી) મંત્રહીન, કાલ વગરનું વિધીહીન થતુ હોય તો દક્ષિણા અપાતા તે સંપુર્ણ બને છે. માટે શ્રાધ્ધની પરિપુર્ણતા માટે પિતૃઓની તૃપ્તિ તથા શાસ્ત્રની આજ્ઞાનાપાલન માટે દક્ષીણા સહિત જ શ્રાધ્ધ કરવુ જો શકિત હોય તો પિતૃઓને ઉદેશી ચાંદીની દક્ષીણા આપવી.

શ્રાધ્ધ માટેનું અન્ન : શ્રાધ્ધ માટે ઘઉં, ડાંગર, જવ, દાળ, મગ, સામો, મધ, દૂધપાક કે ખીર, ઘીનું અન્ન આપવુ. ચાંદીના વાસણોમાં જ બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય છે. ચાંદીના અભાવમાં ચાંદીના વાસણોનું ફકત નામ લેવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે. શ્રાધ્ધમાં મધ પણ આપવુ. જો મધનું એક ટીપું પણ ન હોય તો મધનું ફકત નામ લેવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે. ગાયના દૂધનું ઘી શ્રાધ્ધમાં પિતૃઓને આપવાની તેમની તૃપ્તિ થાય છે.

શ્રાધ્ધમાં શ્રાધ્ધજ મૂળ છે. તેથી તે શ્રાધ્ધ કહેવાય છે. માટે શ્રધ્ધાપુર્વક કરાયેલ શ્રાધ્ધ વ્યર્થ જતું નથી. મનુષ્યએ પોતાની શ્રધ્ધા તથા શકિત અનુસાર પિતૃઓને અનેક પ્રકારના અન્નો, જલ, નૈવેદ્ય, વસ્ત્રો, પુષ્પો, ગંધ, ધૂપો, દક્ષીણા વડે તૃપ્ત કરવા પિતૃતર્પણ કરવુ અને બ્રાહ્મણોને જરૂરીયાતવાળા મનુષ્યોને અન્ન, જળ, વસ્ત્ર, સુવર્ણ, ચાંદી વગેરેના દાન આપવા.

શ્રાધ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતા પાઠનું અદભૂત ફળ : જે મનુષ્ય શ્રાધ્ધમાં પિતૃઓને ઉદ્દેશી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતુષ્ટ થાય છે અને નરકમાંથી (પિતૃઓ) સદગતિને પામે છે.

ગીતાના પાઠથી પ્રસન્ન થયેલા, શ્રાધ્ધથી તૃપ્ત થયેલ પિતૃઓને પુત્રને આશીર્વાદ આપતા પિતૃલોકમાં જાય છે. (ગીતા મહાત્મય, અનુ.શ્લોકનં. ૩૫, ૩૫ વશહ પુરાણ).

કર્મ ફળ વિશે : શ્રી કૃષ્ણ ભગવાને કર્મ અને તેના ફળ વિશે સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કર્મમાં તારો (મનુષ્યનો) અધિકાર છે. ફળમાં કદી નથી. તું કર્મ ફળના હેતુવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં તારી (મનુષ્યની) આશકિત ન થાઓ. (શ્રીમદ ભગવદ ગીતા ૨:૪૭)

તેથી કોઇપણ ધર્મ કર્મ કર્મકાંડ તથા શાસ્ત્રોકત વિધી વિશે શાસ્ત્રોમાં દર્શાવેલા ફળ વિશે અમારા તરફથી કોઇ ખાતરી આપવામાં આવતી નથી. મનુષ્ય પોતાની શ્રધ્ધા અનુસાર ધર્મ કર્મ કરે એ જ યોગ્ય છે.

 જે શ્રધ્ધા તથા શ્રાધ્ધ ધર્મ કર્મ માટે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યુ છે કે, હે ભરત ! મનુષ્યોની શ્રધ્ધા તેમના અંતકરણની શુધ્ધિ અનુસાર હોય છે. પ્રત્યેક મનુષ્ય શ્રધ્ધામય છે અને જેવી જેની શ્રધ્ધા હોય તેવા જ તે હોય છે.(ગીતા ૧૭:૩)

હે અર્જુન ! અશ્રધ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઇ (ધર્મ કર્મ ) કરવામાં આવે તે અસત કહેવાય છે, તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક થતુ નથી. (ગીતા ૧૭:૨૮)

:: સંકલન :: નિશીથ ઉપાધ્યાય

સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

(3:57 pm IST)