શહેરમાં ગત સપ્તાહે કોરોનાથી વધુ એક મોત : છેલ્લા ત્રણ દિ'માં ૯૭ કેસ નોંધાયા
તા.૧૩ના નિર્મલા કોન્વેન્ટ રોડ પરના વૃધ્ધનું મોત : તા.૧૩થી૧૫ સુધીમાં ૧૩૬ દર્દી સાજા થયા : હાલ ૨૪૯ દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ તા. ૧૬: સમગ્ર દેશમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનીવારે ૫૮ તથા રવિવારે ૩૪ કેસ તથા ગઇકાલે સોમવારે ૫ કેસ નોંધાયા છે. જયારે ત્રણ દિવસમાં ૧૩૬ દર્દી સાજા થયા હતા. હાલ ૨૪૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ગત સપ્તાહે કોરોનાથી એક મોત થયુ છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૫,૧૩૩ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૩૮૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૭૬૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૬૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૧૨,૯૫૮ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૫,૧૩૩ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૮૪ ટકાએ પહોંચ્યો છે.
ગત સપ્તાહે કોરોનાથી એક મોત
છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કેસ વધી રહ્યા છે. ત્યાં કોરોનાએ ઓચિંતો જીવલેણ ઘા કરી લીધો છે. શહેરના નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા ૭૮ વર્ષના વૃધ્ધનું તા.૧૩ ઓગષ્ટના મૃત્યુ નિપજયુ હતુ. જાણવા મળ્યા મુજબ તેઓ વૃધ્ધને કોરોના ઉપરાંત ડાયાબિટીસની સાથે સાથે લોહીની નળીઓની લગતા રોગ હતા અને પ્રારંભિક તબક્કે હ્દય બંધ થઇ જતા મોત થયાનું નોંધાયુ છે.