રાજકોટ તાલુકા મામલતદાર કચેરી ચર્ચાના ચગડોળે મભોયો યોજનામાં ભ્રષ્ટાચાર એવી કલેકટરને ફરિયાદ
એક કલાર્કનું નામ આપ્યું : તાલુકા મામલતદાર કહે છે આ બધી ખોટી અને હબંગ વાત છે
રાજકોટ તા. ૧૬ : બેડી ક્ષેત્રના અને બીજા મધ્યાહન ભોજન સંચાલકોએ કલેકટર - એડી.કલેકટરને ફરીયાદ પાઠવી તાલુકા મામલતદાર ઓફિસમાં હિસાબોમાં ગોટાડા અને સંચાલકો પાસેથી કહેવાતા મોઢા મીઠા કરી કરેલા ભ્રષ્ટાચાર ખાયકી અંગે ફરીયાદ તારીખ ૨૨-૬-૨૦૧૮ના રોજ કરેલી છતાં આજ સુધી કોઇ જ પગલા ના લેવા અંગે તેમજ કોઇ જ તપાસ કાર્ય ના થવા અંગે રજૂઆતો કરી હતી.
ફરિયાદમાં ઉમેર્યું છે કે, રાજકોટ તાલુકા મામલતદાર ઓફિસમાં એક કલાર્ક દ્વારા લાંબો સમય સુધી એક જ જગ્યા ઉપર રહીને સરકારી હિસાબોમાં ગોટાળા કરીને તેમજ મધ્યાહન ભોજન યોજનાના ગરીબ સંચાલકો પાસેથી મોઢા મીઠા કરી મોટી રકમ ઘરભેગી કરી છે. આ કામમાં કલાર્કે જે તે વખતના નાયબ મામલતદારને અંધારામાં રાખી હાથો બનાવી તેના દ્વારા ખોટું કૌભાંડ કર્યું છે. આ વાત મામલતદાર પણ સારી રીતે જાણે છે. પણ ફકત કાગળ ઉપર તપાસનું નાટક કરવામાં આવી રહ્યું છે. કોઇ સરકારી તપાસનીશ અધિકારી દ્વારા તપાસ ચાલુ નથી થઇ. છોકરાવની સંખ્યા વધુ બતાવીને અનાજ વધુ ફાળવીને છેતરપીંડી કરી, ખોટા હિસાબો સંચાલકોના સ્વીકારી લીધા, કેન્દ્રમાં ચાલતી ગેરરીતિ, નવું કેન્દ્ર મંજુર કરવા માટે કેન્દ્ર બંધ રહેતા હોય તો પણ જથ્થાની ફાળવણી કરી ભ્રષ્ટાચાર કર્યો એવી ચોકાવનારી વિગતો અપાઇ છે.
આ સંચાલકોએ ફરીયાદમાં કહ્યું છે કે, આ કૌભાંડની તપાસ કરાવી અમારા જેવા ગરીબોને ન્યાય અપાવો.
ફરિયાદમાં અગાઉના બધા હિસાબો ઓડિટ કરાવવા જરૂરી છે. તેમ ઉમેરી આ કલાર્કની સરખી રીતે કડકાઇથી પૂછપરછ કરવામાં તેવી માંગણી કરી છે. દરમિયાન આ બાબતે તાલુકા મામલતદાર શ્રી ખાનપરાએ 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે, આ બધી ખોટી અને હબંગ વાત છે, કોઇ નનામી અરજી કરે છે, આ જે શખ્સ હોય તેને નોકરીમાં રાખ્યો નહિ એટલે આવી ખોટી અરજીઓ કર્યા રાખે છે.