પત્નિના વિયોગમાં કેવડાવાડીના વૃધ્ધ ભોગીલાલ માંડલીયાએ ઝેર ગટગટાવ્યું
બે મહિના પહેલા ધર્મપત્નિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું
રાજકોટ તા. ૧૬: કેવડાવાડી-૧૭/૧૧ના ખુણે રહેતાં ભોગીલાલભાઇ દયાળજીભાઇ માંડલીયા (સોની) (ઉ.વ.૬૩) નામના વૃધ્ધે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભકિતનગર પણોલીસને જાણ કરી હતી. ભોગીલાલભાઇ ઇમિટેશનનું કામ કરે છે. સંતાનમાં ત્રણ પુત્રો છે. તપાસમાં ખુલ્યા મુજબ ભોગીલાલભાઇના એક દિકરાને બે મહિના પહેલા કોરોના થતાં અને ફેફસા ડેમેજ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તે વખતે દિકરાને કંઇક થઇ જશે તેની ચિંતામાં ભોગીલાલભાઇના પત્નિ વર્ષાબેનને હાર્ટએટેક આવી જતાં તેમનું અવસાન થયું હતું.
એ પછી ભોગીલાલભાઇ સતત ગુમસુમ રહેતાં હતાં અને ચિંતામાં રહેતાં હતાં. પત્નિના વિયોગમાં ગત સાંજે તેમણે ઝેરી દવા પી લીધી હતી. તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાનું પરિવારજને જણાવ્યું હતું.