રાજકોટ
News of Sunday, 16th May 2021

રાજકોટના દરેક વોર્ડને કોરોના મુક્ત કરવા સઘન કામગીરી હાથ ધરાશે

મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ” અભિયાન હેઠળ મીટીંગ યોજાઈ: કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જયેશભાઈ રાદડિયા, મેયર ડૉ. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નગરપાલિકાઓના રિજીયોનલ કમિશનર સ્તુતિ ચારણ સહિતના અધિકારીઓ - પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રાજકોટ: રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિક સુરક્ષિત થાય તેવા શુભ આશયથી મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ મારું ગામ, કોરોના મુક્ત ગામઅને મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં મારો વોર્ડ, કોરોના “મુક્ત વોર્ડ”” અભિયાનનો રાજ્યભરમાં પ્રારંભ કરેલ છે. આ સિલસિલામાં રાજકોટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ વિસ્તાર માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના  જયેશભાઈ રાદડિયાને મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ અભિયાનની જવાબદારી સુપ્રત કરવામાં આવેલી છે. જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મીટીંગ યોજાઈ હતી.

આ મીટીંગમાં, કૃષિ મંત્રી આર.સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી  જયેશભાઈ રાદડિયા, મેયર ડૉ. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, નગરપાલિકાઓના રિજીયોનલ કમિશનર સ્તુતિ ચારણ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશનર બી.જી. પ્રજાપતિ, સી.કે. નંદાણી, એ.આર. સિંહ, અને રૂડાના સી.ઈ.એ. ચેતન ગણાત્રા જુદી જુદી નગરપાલિકાઓના ચીફ ઓફિસરશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રના પ્રભારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.

સૌ પ્રથમ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ઉપસ્થતિ સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ અને છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલ કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરેલ.

આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી  આર.સી. ફળદુએ જણાવેલ કે, રાજકોટ શહેરની ટીમ દ્વારા આખું માળખું રચી એક વર્ષથી વધુ સમય વધુ સમયથી કામગીરી કરવામાં આવી રહેલ છે તે બદલ રાજ્ય સરકાર વતી વંદન સાથે અભિનંદન પાઠવેલ. હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ કોરોના ઉપર આપણે હાવી થવું જ પડશે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા પખવાડીયાથી કોરોનાની પીછે હઠ થઇ રહી છે ત્યારે બીજા ફેઇઝમાં કોરોનાની ચેઈન તોડવા અને ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત થઇ રહી છે ત્યારે એ પૂર્વે સુસજતા કેળવી લેવાના ઉદેશથી માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના ગ્રાઉન્ડ સુધી પહોંચી હાલની બીજી લહેરની સંક્રમણની ચેઈન તોડવા મારું ગામ, કોરોના મુક્ત ગામ અને મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ અભિયાન શરૂ કરેલ છે. જેમાં કોરોનાના પ્રાથમિક લક્ષણથી જ દર્દીને સારવાર મળે, દરેક ઘરને સર્વેલન્સમાં આવરી લેવું, લોકોમાં જાગૃતતા લાવવી, ધનવંતરી રથ મહત્તમ કામ કરે અને આ માટે ચુંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્રની ટીમ બનાવી ફિલ્ડમાં કાર્યરત કરવી. માન.મંત્રીશ્રીએ વધુમાં એક બાબત પર ખાસ ભાર મુકતા કહ્યું કે, કેટલાક કિસ્સા એવા ધ્યાનમાં આવે છે કે જેમાં લોકો પ્રાથમિક લક્ષણો પછી પણ સારવાર શરૂ કરવામાં ભય, સંકોચ અનુભવે છે. તે તમામ લોકોને શોધી શોધીને સારવાર શરૂ કરાવી જરૂરી છે અને ત્યારે જ કોરોનાની ચેઈન તોડી શકાશે.

છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી રાજ્યના કોરોના વોરિયર્સ મોતના સતત ભય વચ્ચે પણ કામગીરી કરી રહ્યા છે તેની રાજ્ય સરકારે વ્યવસ્થિત નોંધ લીધેલી છે. આ એક એવો કપરો સમય છે જે કોઈએ કદાચ કયારેય નહિ જોયો હોય, કોરોના સામેની આ અભૂતપૂર્વ લડાઈનો ઇતિહાસ ભવિષ્યમાં લાંબા સમય સુધી લોકો યાદ કરશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને મેયર સહિતના પદાધિકારીશ્રીઓએ જણાવેલ કે, હવે વહીવટી તંત્રની ટીમો સાથે પણ ચુંટાયેલ પ્રતિનિધિઓ અને સંગઠનની ટીમો જોડાઈ વોર્ડને કોરોના મુક્ત કરવા સઘન કામગીરી હાથ ધરાશે.

અંતમાં, તેમણે ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે રોગચાળો ન પ્રસરે તે માટે પ્રિ-મોન્સુન કામગીરીને અત્યારથી જ સઘન બનાવવા સુચના આપી હતી.

નગરપાલિકાઓના રિજીયોનલ કમિશનર  સ્તુતિ ચારણ તથા જીલ્લાની જુદી જુદી જેવી કે, જસદણ, જેતપુર, ધોરાજી, ગોંડલ, ભાયાવદર, ઉપલેટા નગરપાલિકાઓના ચીફ ઓફિસરોએ કોરોના અંગેની કામગીરીની વિગતો રજુ કરી હતી અને મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત અપાયેલી સુચના અનુસાર કામગીરી આગળ ધપાવવા સંકલન કરવામાં આવશે તેમ જણાવેલ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના આસી.કમિશનર, વોર્ડ નં.૧૬ અને વોર્ડ નં.૦૪ના વોર્ડ પ્રભારી શ્રી વાસંતીબેન પ્રજાપતિ અને હર્ષદ પટેલએ પોતાના વોર્ડમાં કોરોના અંતર્ગત થયેલી કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

ડે.કમિશનર  બી.જી પ્રજાપતિએ મીટીંગના અંતે આભાર દર્શન કરેલ. બેઠક પૂર્ણ થયા બાદ રાજયના મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અને અધિકારીશ્રીઓએ સમરસ કોવીડ સેન્ટર અને વિજય પ્લોટમાં સ્થિત ગુર્જર સુથાર જ્ઞાતિ સંચાલિત કોવીડ કેર સેન્ટરની સ્થળ વિઝીટ કરેલ.

(1:44 pm IST)