જંગલેશ્વરમાં વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થઇ રહેલા રફિકભાઇનું કરંટ લાગવાથી મોત
રાજકોટ તા. ૧૬: જંગલેશ્વરમાં રહેતાં મુસ્લિમ આધેડ બાઇક હંકારી વિજ સબ સ્ટેશન પાસેથી પસાર થવા જતાં કરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ જંગલેશ્વરની એકતા સોસાયટીમાં રહેતાં રફિકભાઇ ઇબ્રાહીમભાઇ જેઠવા (ઉ.૪૫) સવારે આઠેક વાગ્યે બાઇક હંકારી ઘર પાસેના વિજ સબ સ્ટેશન પાસેેથી પસાર થવા જતાં શોર્ટ લાગતાં બેભાન થઇ પડી ગયા હતાં. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે ભકિતનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ અંજુબેન હરસોડા અને રાઇટર રામદેવસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. રફિકભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં અને કારખાનામાં કામ કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને ત્રણ પુત્ર છે.
જંગલેશ્વરમાં ઇમરાનને નદીમે છરી ધોકાથી ઘાયલ કર્યો
જંગલેશ્વર હુશેની ચોકમાં રહેતો ઇમરાન અસલમભાઇ પઠાણ (ઉ.૨૮) ઘર પાસે હતો ત્યારે નદીમે છરી-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે દાખલ થયો છે. નદીમે દારૂ પી ખેલ કરી હુમલો કર્યાનું જણાવાયું હતું.
પતિ ભાવેશ સાથે ઝઘડો થતાં હીનાએ ઝેર પીધું
રૈયા રોડ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રહેતી હીનાબેન ભાવેશ ધ્રાંગધરીયા (સુથાર) (ઉ.૩૦) ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. પતિ સાથે ઝઘડો થતાં આ પગલું ભર્યાનું જણાવાયું હતું. યુનિવર્સિટી પોલીસે કાર્યવાહી કરી હતી.
૭ વર્ષની જેનીશા રમતાં રમતાં દવા પી ગઇ
રૈયા ગામમાં આલાપ ગ્રીન પાસે રહેતાં પ્રેમ પરિહારની દિકરી જેનીશા (ઉ.૭) રમતાં રમતાં કોઇ દવા પી જતાં ઉલ્ટીઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પિતા પ્રેમ ચોકીદારીનું કામ કરે છે.