સંત કબીર રોડ પર ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવતાં ૨૫ વર્ષના સંજય રાઠોડનું મોત
હેલ્મેટ ઝુંબેશના બીજા જ દિવસે જીવલેણ અકસ્માતઃ યુવાને હેલ્મેટ પહેર્યુ નહોતું : બાલાજી હોલ પાસે આરએમસી કવાર્ટરમાં રહેતો દેવીપૂજક યુવાન યાર્ડથી બકાલુ લઇ ઘરે આવતો'તો ને કાળ ભેટી ગયો
રાજકોટ તા. ૧૬: ટુવ્હીલરના ચાલકો હેલ્મેટ પહેરતાં થાય એ માટે ગઇકાલથી જ શહેર પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. ત્યાં આજે સવારના પ્હોરમાં સંત કબીર રોડ પર એક અકસ્માતમાં બાલાજી હોલ પાસે રહેતાં દેવીપૂજક યુવાને જીવ ગુમાવ્યો છે. બકાલુ લઇને યાર્ડ તરફથી આવી રહેલો આ યુવાન બાઇક સહિત ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. તેણે હેલ્મેટ પેહર્યુ નહોતું.
જાણવા મળ્યા મુજબ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે સાગર ચોકમાં આવેલા આરએમસી કવાર્ટરમાં રહેતો ઘર પાસે ટાયરના પંચર સાંધવાનું કામ કરતો તેમજ માતાને બકાલાના ધંધામાં મદદરૂપ થતો સંજય રતિભાઇ રાઠોડ (ઉ.૨૫) નામનો દેવીપૂજક યુવાન વહેલી સવારે ઘરેથી પોતાનું બાઇક નં. જીજે૩કેએસ-૪૪૬૫ હંકારી માર્કેટ યાર્ડ ખાતે બકાલુ લેવા ગયો હતો.
ત્યાંથી પરત ઘરે આવતો હતો ત્યારે સંત કબીર રોડ દૂધેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચ્યો તે વખતે ટ્રેકટર નં. જીજે૩જેસી-૦૫૨૬ની ઠોકરે ચડી જતાં રોડ પર ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. લોકો ભેગા થઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી. બી-ડિવીઝનના પીએસઆઇ મેડમ જે.આર. સરવૈયા તથા રાઇટર સંજયભાઇ કુમારખાણીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક પાસેથી મળેલા નંબરોને આધારે તેના વાલીવારસને જાણ કરાઇ હતી. કાળનો કોળીયો બનેલો સંજય ચાર ભાઇ અને બે બહેનમાં નાનો તથા અપરિણીત હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.