રાજકોટ
News of Tuesday, 16th April 2019

પત્નિને વચગાળાના રૂ.૪૦૦૦નું ભરણ પોષણ ચૂકવવા પતિને ફેમેલી કોર્ટનો હુકમ

રાજકોટ, તા. ૧૬ : ભરણપોષણના કેસમાં પત્નીને વચગાળાના ભરણપોષણ પેટે રૂ. ૪,૦૦૦/-ચૂકવવાનો પતિ વિરૂદ્ધ ફેમીલી કોર્ટે હુકમ ફરમાવેલ હતો.

આ કેસની ટુંક વિગત એવી છે કે અત્રે રાજકોટ મુકામે રહેતા અરજદાર વંદનાબેન ચીરાગભાઇ જોષીએ સી.આર.પી.સી.ની કલમ ૧રપ મુજબ ભરણપોષણના કાયદા અન્વયેની ફરીયાદ જામનગર રહેતા તેમના પતિ ચીરાગભાઇ કૃષ્ણલાલ જોષી વિરૂદ્ધ રાજકોટ ફેમીલી કોર્ટ સમક્ષ કરેલ હતી. કેસની હકીકત જોઇએ તો અરજદારના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલા સામાવાળા સાથે રાજકોટ મુકામે થયેલા અને સહલગ્નજીવન વિતાવવાની શરૂઆત જામનગર મુકામે સંયુકત કુટુંબમાં કરેલ હતી. ત્યાર બાદ થોડોક સમય અરજદારને સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય તેમજ અરજદારને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલ હોય, જેથી આ સમયગાળા દરમ્યાન સામાવાળા દ્વારા અરજદારની ભરણપોષણની કોઇ જવાબદારી સામાવાળાએ નિભાવી ન હોઇ તેથી અરજદારે કોર્ટ સમક્ષ સદરહું કાયદા અન્વયે ભરણપોષણ મેળવવા અરજી કરેલ, ત્યારબાદ કોર્ટએ સામાવાળાને નોટીસ ઇશ્યુ કરવામાં આવેલ અને તેઓ કોર્ટની મુદત હરોળ સમક્ષ હાજર થયેલ હતા.

કોર્ટે અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટએ અરજદારની વચગાળાની ભરણપોષણની અરજી મંજૂર કરી એવો હુકમ ફરમાવેલ કે અરજદારે કરેલ મૂળ અરજીની તારીખ ૬/૬/૨૦૧૮થી અરજદાર/પત્નીને ભરણપોષણ પેટે માસીક રૂ. ૪૦૦૦/- ચૂકવી આપવા તેમજ અરજી ખર્ચ પેટે રૂ. પ૦૦૦/- અલગથી ચૂકવવા તેવો હુકમ સામાવાળા વિરૂદ્ધ ફરમાવેલ હતો.

આ કેસમાં અરજદાર વંદનાબેન જોષી તરીકે પી એન્ડ લો ચેમ્બરના ધારાશાસ્ત્રી અલ્પેશ વી. પોકીયા, વંદના એચ. રાજયગુરૂ, અમીત વી. ગડારા, કેતન જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, પરેશ મૃગ, રીતેશ ટોપીયા, મોહીત રવીયા રોકાયેલ હતાં.

(4:23 pm IST)