બિલ્ડર પુત્રના ગૂમ થવા પાછળ આર્થિક ભીંસ જ કારણભૂત? જીલ્લાના ટોચના ભાજપ અગ્રણી અને ગૃપના જ પચાસેક કરોડ હોવાની ચર્ચા
અપહરણ થયાની શકયતા ઓછીઃ વડોદરા રેલ્વે સ્ટેશને જાતે ઉતર્યાના ફુટેજ પોલીસને મળ્યાઃ પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતની ટીમ શોધખોળમાં લાગી
રાજકોટ, તા., ૧પઃ બે દિવસ પુર્વે મુંબઇથી રાજકોટ રેલ માર્ગે આવવા નિકળેલા શહેરના જાણીતા સખીયા બિલ્ડર ગૃપના પુત્ર કિશોર બાબુભાઇ (ઉ.વ.આશરે ૪ર) ટ્રેન નિયત સમયે રાજકોટ સ્ટેશને પહોંચવા છતાં ટ્રેનમાંથી નહી ઉતરતા શોધખોળ શરૂ થઇ હતી. રહસ્યમય રીતે ગૂમ થયેલા આ યુવાનનો મોબાઇલ ફોન સતત બંધ આવી રહયો હતો. કલાકોની તપાસ પછી પણ પરીવારનેે કોઇ ભાળ ન મળતા મિત્રો-સગાસબંધીઓ અને હિતેચ્છુઓને જાણ કરી ગૂમ થવા પાછળ કયું પરીબળ કામ કર્યુ છે? તે વિષે જુદી-જુદી દિશામાં ઘોડા દોડાવવાનું શરૂ કર્યુ હતું. કલાકોની પ્રાથમીક તપાસને અંતે પહેલા સાણંદ આસપાસ હોવાના એંધાણ મળ્યા બાદ આજે એવું ફલીત થયું છે કે ગૂમ થયેલા કિશોરભાઇ છેલ્લે મુંબઇથી રાજકોટ જતી ટ્રેનમાંથી વડોદરા રેલ્વે સ્ટેશને પોતાના સામાન સાથે ઉતરતા નજરે પડે છે. આ મુદ્દો તેમનું અપહરણ થયાની શંકાને નબળી પાડી દે છે તેમ છતા પોલીસ કોઇ કચાશ છોડયા વગર 'ઓફ ધી રેકોર્ડ' તપાસ કરી રહી છે.
આ બારામાં વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગેહલોતનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે મને આ બારામાં રાજકોટથી માહીતી મળી છે. અમે એસઓજી બ્રાન્ચને કામે લગાડી વડોદરા સ્ટેશને ઉતરેલા કિશોર સખીયાનું લોકેશન મેળવવાના પ્રયાસો કરી રહયા છીએ. જલદી સફળતામળે તેવો આશાવાદ છે.
દરમિયાન રાજકોટની જાણકાર બિલ્ડર લોબી અને આધારભૂત સુત્રોમાંથી સાંપડતી વિગત મુજબ મોટા બિલ્ડીંગ પ્રોજેકટમાં ઓવર ટ્રેડીંગ થઇ જવાના કારણે કિશોર સખીયા છેલ્લા કેટલાક મહિનાઓથી આર્થીક ભીંસમાં આવી ગયાનું ચર્ચાય છે. જીલ્લા ભાજપના એક ટોચના નેતાના ગૃપના જ આશરે પચાસ કરોડ એટલે કે અડધો અબજ જેટલું લેણું હોવાનું ચર્ચાય છે. આ સિવાય પણ ફાઇનાન્સરોની યાદીમાં ઘણાના નામો હોવાનું ચર્ચાય છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના જે ટોચના નેતાનું મોટું ફાયનાન્સ હોવાનું મનાય છે તે અગાઉ પણ કાલાવડ પંથકના એક જીનર્સે આર્થીક ભીંસમાં કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસ ફરીયાદમાં ચમકી ચુકયા છે.
કિશોર સખીયા મુંબઇ પોતાના 'ઓન ગોઇંગ' પ્રોજેકટમાં મુંબઇની મોટી પાર્ટીને મોટા શેર સાથે પાર્ટનર તરીકે જોડવાની અંતિમ નેમ સાથે ગયા હતા. કદાચ આ ડીલ પુરી નહિ પડતા હતાશામાં આવી ગયા હોવાની પણ ચર્ચા છે.