આગામી ૬ એપ્રિલે વૈદેહી એન્ટરપ્રાઇઝ દ્વારા હેમુ ગઢવી હોલમાં નાટય પ્રયોગ 'સમુદ્ર મંથન'
ઘુઘવતા સમુદ્ર વચ્ચે વિશાળ વહાણના દ્રશ્યો સેટ પર જીવંત થશે : અદિતિ દેસાઇનું દિગ્દર્શન
રાજકોટ તા. ૧૬ : ૧૯૪૦ ના દાયકાની વાત છે. જયારે આખી દુનિયાના ખારવાઓ એવું માનતા કે સ્ત્રી સમુદ્રમાં નાવ પર હાજર હોય તો દરિયામાં અચૂક તોફાન આવે અથવા કૈક તો અશુભ થાય જ ! ને ત્યારે ખારવાઓ એટલા ઝનુની બની જતા કે સ્ત્રીને દરિયામાં પધરાવી દેતા !
એ જમાનામાં આપણાં કચ્છ - માંડવીની એક ખારવણ , ૧૯૪૩ થી ૧૯૪૮ સુધી માત્ર ભારતમાં નહિ બલ્કે અનેક દેશોમાં વ્યાપાર કરવા વહાણ દ્વારા જાયને સફળ કેપ્ટન બનેલ! એવી સત્ય હકીકત પર આધારિત કાલ્પનિક પ્રણય કથાના રોમાન્ચવાળી વાર્તા એટલે વિદેહી એન્ટર ટેઇન્મેન્ટ પ્રસ્તુત ગુજરાતી નાટક 'સમુદ્ર મંથન'
વિદેહી એન્ટરટેઇન્મેન્ટના દેવલ વોરા રાજકોટના સાહિત્ય રસિકો માટે કૈક નવુ, અનોખુ લાવવા પ્રયત્નશીલ છે. તેઓએ આપેલ સૌમ્ય જોશી આલેખિત દિગ્દર્શિત નાટક 'જાનેકી ઝિદ ના કરો' અને 'યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ'ને રાજકોટવાસીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો.
ત્યારે ફરી એક અનોખો પ્રયોગ થવા જઇ રહ્યો છે. અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને દેવકી લિખિત 'સમુદ્ર મંથન' નાટક તા. ૬ એપ્રિલના રાત્રે ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે રજુ થવા જઇ રહ્યુ છે.
જેમાં મુખ્ય કલાકારો અમદાવાદની આર.જે. દેવકી પોતે અને સાથે ૨૫ જેટલા કલાકારો, ડાન્સરો પણ છે. બે કલાકના મ્યુઝિકલ નાટક દરમિયાન વિશાળ વહાણની રચના જેવા અદભુત સેટ જોવા મળશે. મધુર પ્રણય ગીતો, લાઇટ, સાઉન્ડ, ડાન્સ થકી સ્ટેજ પર જાણે સમુદ્ર લહેરાશે.
નાટકની સ્ક્રિપ્ટ દેવકીએ લખી છે. નાટકના પાસ તેમજ વધુ માહીતી માટે મો.૬૩૫૪૯૯૫૦૦૧ ઉપર સંપર્ક કરી શકાશે.