રાજકોટ
News of Saturday, 16th March 2019

સ્વાઇન ફલૂથી રાજકોટમાં પોરબંદરના વૃધ્ધ અને વિસાવદરના મહિલાના મોતઃ કુલ મૃત્યુઆંક ૮૭

બંનેએ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં આજે ૩૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૬: સ્વાઇન ફલૂ વધુ એક જીવ ભરખી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ પોરબંદરના ૬૦ વર્ષના વૃધ્ધનું અને વિસાવદરના ૩૫ વર્ષિય મહિલાનું મોત નિપજ્યું છે. તે સાથે કુલ મૃત્યુઆંક ૮૭ થઇ ગયો છે.૬૦ વર્ષના વૃધ્ધ કેટલાક દિવસથી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં અને રિપોર્ટ પોઝિટીવ હતો. તેનું રાત્રીના મોત થયું હતું. જ્યારે વિસાવદરના ૩૫ વર્ષના મહિલા દસેક દિવસથી દાખલ હતો અને તેનો રિપોર્ટ પણ પોઝિટીવ જાહેર થયેલો હતો. આ મહિલાએ સવારે દમ તોડી દીધો છે.  . તા. ૧-૧-૧૯ થી તા. ૧૫-૩-૧૯ સુધીમાં રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના કુલ ૩૫૨ દર્દી જાહેર થયા છે. આજના દિવસે ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં રાજકોટ, ગોંડલ, પડધરી, અમરેલી, દ્વારકા, જુનાગઢ, મોરબી, પોરબંદર, સુરત, ગીર સોમનાથ, જામનગર સહિતના ગામ-શહેરોના દર્દીઓનો સમાવેશ થાય છે. (૧૪.૯)

(3:29 pm IST)