જંગલેશ્વરમાંથી ઇમરાનને કારમાં નાંખી ખાડામાં લઇ જઇ ૪ શખ્સોએ ધોકાવ્યો
એક વર્ષ જુના મનદુઃખને લીધે સાગર, હુશેન, નઝીર અને બબલુએ ધોલધપાટ કરી
રાજકોટ તા. ૧૬: કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે વિનોદનગરમાં રહેતાં ઇમરાન અબ્દુલભાઇ પરમાર (ઉ.૨૨) નામના ઘાંચી યુવાનને સાંજે છએક વાગ્યે જંગલેશ્વરમાં હતો ત્યારે ચાર શખ્સોએ જુના મનદુઃખને લીધે કારમાં બેસાડી ખાડામાં લઇ જઇ ઢીકા-પાટુનો માર માર્યા બાદ ત્યાં જ છોડી દઇ ભાગી જતાં ઇમરાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણે પોતાને સાગર, હુશેન, નઝીર અને બબલુ કારમાં બેસાડી લઇ ગયા બાદ માર માર્યાનું જણાવતાં ભકિતનગર પોલીસ મથકમાં એન્ટ્રી નોંધાવાઇ હતી. જો કે ટુંકી સારવાર બાદ ઇમરાને રજા લઇ લીધી હતી.
તેના માતા ફાતેમાબેન અબ્દુલભાઇના કહેવા મુજબ એકાદ વર્ષ પહેલા ઇમરાન અને સાગર બાવાજી વચ્ચે મોબાઇલ બાબતે પોલીસ કેસ થયો હોઇ તેના મનદુઃખને લીધે ઇમરાનને કારમાં નાંખી જંગલેશ્વરના ખાડામાં લઇ જઇ ધોલધપાટ કરાઇ હતી.