કાકાના ઘરે જવાનું કહી નીકળેલી ૧૭ વર્ષની સગીરા લાપતા : અપહરણનો ગુનો
સગીરાના પિતાની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ
રાજકોટ,તા. ૧૬: શહેરના આજીડેમ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા કૌટુબિક કાકાના ઘરે જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ આજીડેમ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તાફ ૨૭/૧૧ના રોજ ઘર પાસે રહેતા કૌટુબીક કાકાના દીકરાના ઘરે જવાનું કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના માતા-પિતા સહિતના પરિવારજનોએ સગીરાની શોધખોળ હાથ ધરી હતી અને તેના કૌટુબીક કાકાના દીકરાના ઘરે તપાસ કરતા તેણે સગીરા અહીં આવી ન હોવાનું જણાવ્યું હતું. બાદ સગા સંબંધીને ત્યાં પણ તપાસ કરતા સગીરાનો કોઇ થતો લાગ્યો ન હતો. ગત સાતમ આઠમમાં કૌટુબીક કાકાના દીકરા રાજુભાઇ જીવાભાઇ વાળાનો દીકરો ધર્મેશ સુરત મજુરી કામ કરવા જવાનું કહી જતો રહ્યો હોય તે સુરતમાં કયાં રહે છે તેનો મોબાઇલ નંબર પણ નથી. તે કયાં કામ કરે છે તેની પણ કોઇને ખબર નથી. આથી સગીરા પણ છેલ્લા વીસ દિવસથી લાપતા હોય તેથી ધર્મેશ અને સગીરા બંને સાથે છે કે કમે તેમ સગીરાના પરિવારજનોનું માનવું છે. સગીરા આજદીન સુધી પરત ન આવતા સગીરાના પિતાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ વી.જે.ચાવડા, રાઇટર જાવેદભાઇ રીઝવી અને સ્મિતભાઇએ તપાસ હાથ ધરી છે.