દિવાનપરાના લેઉવા પટેલ વેપારી સંજયભાઇનું ટીવી જોતાં-જોતાં અચાનક હૃદય બેસી ગયું
રાજકોટ તા. ૧૬: દિવાનપરા-૩માં રહેતાં લેઉવા પટેલ વેપારી સંજયભાઇ તુલસીભાઇ પરસાણા (ઉ.૪૦) રાત્રે દસેક વાગ્યે પરિવારજનો સાથે ટીવી જોઇ રહ્યા હતાં ત્યારે અચાનક છાતીમાં દબાણ થતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજ્યું હતું. તિવ્ર હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું.
હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સંજયભાઇ ટાગોર રોડ પર કિચન ગેલેરી નામે હાર્ડવેરની ચીજવસ્તુઓનો વેપાર કરતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં ૧૦૦ વર્ષનો દિકરો અને પાંચ વર્ષની પુત્રી છે. પત્નિનું નામ વિધીબેન છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
આંબેડકરનગરના અશોક રાઠોડનું પણ બેભાન હાલતમાં મોત
એંસી ફુટ રોડ આંબેડકરનગર-૧૪માં રહેતાં અશોક છગનભાઇ રાઠોડ (વણકર) (ઉ.૩૬)ને સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતક ત્રણ ભાઇઅને બે બહેનમાં નાનો અને અપરિણિત હતો. તેને ટીબીની બિમારી હતી. (૧૪.૫)