રાજકોટ જેલમાં રસોઇ વિભાગમાં ગેસના બાટલામાં ભડકો થતાં કેદી દાઝી ગયો
બાટલામાંથી અવાજ આવ્યો, જોવા જતાં જ ભડકો થયો... : હત્યાના ગુનાના બંદીવાન મુળ ખંભાળાના દિલીપ ખાચર સારવાર હેઠળ
રાજકોટ તા. ૧૫: સેન્ટ્રલ જેલના રસોઇ વિભાગમાં ગેસના બાટલામાં ભડકો થતાં પાકા કામનો કેદી દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ જેલમાં પાકા વિભાગ વોર્ડ નં. ૨ બેરેક નં. ૪માં રખાયેલા હત્યાના ગુનાના કેદી દિલીપ નકુભાઇ ખાચર (ઉ.૪૫) સવારે જેલના રસોઇ વિભાગમાં દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને તોરલબેન જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી. કેદીએ કહ્યું હતું કે પોતે વી. સી. બેરકમાં રસોઇ વિભાગમાં સેવક તરીકે ફરજ પર હોઇ ગેસના બાટલામાંથી અવાજ આવતો હોઇ જેથી ત્યાં જોવા જતાં અચાનક આગ નીકળતાં પોતે હાથે-પગે-સાથળે દાઝી જતાં રાડારાડી કરતાં કેદીઓ દોડી આવ્યા હતાં. જેલમાં પ્રાથમિક સારવાર અપાવી પોતાને સિવિલમાં ખસેડાયો હતો.
જેલના હવાલદાર મનોજભાઇ લખતરીયા અને સહાયક કુલદિપસિંહ જાડેજાએ તેને તુરત હોસ્પિટલમાં ખસેડતાં સારવાર શરૂ થઇ હતી. નોંધનીય છે કે દિલીપ ખાચર ગઢડા તાલુકાના રામપર ગામના ખુન કેસમાં પાકા કેદી તરીકે સજા ભોગવે છે.