સોમનાથ સોસાયટીમાં ડોલીબેન જડીયાનો ઝેરી પાવડર પી આપઘાત
છાતીના દુઃખાવાથી કંટાળીને પગલુઃ બે દિવસની સારવાર કારગત ન નિવડી
રાજકોટ તા. ૧૫: રૈયા ટેલિફોન એક્ષચેન્જ સામે સોમનાથ સોસાયટી-૯/૩ના ખુણે રહેતાં ડોલીબેન મયુરભાઇ જડીયા (ઉ.વ.૩૪) નામના મહિલાએ ઝેરી પાવડર પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ડોલીબેને તા. ૧૩ના સવારે સાડા નવેક વાગ્યે પોતાને છાતીમાં દુઃખાવો થતાં ઘરમાં પડેલો ઘઉંમાં રાખવાનો પાવડર પી લેતાં ઝેરી અસર થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ સારવાર દરમિયાન ગત સાંજે દમ તોડી દેતાં હોસ્પિટલ મારફત જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના એએસઆઇ સાજીદભાઇ એમ. ખેરાણી અને અનુજભાઇએ ત્યાં પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ ડોલીબેનના લગ્ન ૧૪ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. છાતીમાં દુઃખાવો થતો હોઇ કંટાળીને ઝેરી પાવડર પી ગયા હતાં.