સ્વચ્છતા પખવાડીયાની સિવિલ હોસ્પિટલમાં ઉજવણીઃ સાંસદ, ધારાસભ્યો, તબિબો અને સ્ટાફે શપથ લીધા
મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા અને અરવિંદ રૈયાણીએ તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાને સાથે રાખી ઠેર-ઠેર ચેકીંગ કર્યુઃ જાહેર શોૈચાલયમાં પણ આટો માર્યોઃ સ્વચ્છતા જાળવવા કડક તાકીદ કરી
રાજકોટઃ 'સ્વસ્છતા જ સેવા' એ સુત્ર સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા પખવાડીયાની શરૂઆત કરી છે તે સાથે આજે સિવિલ હોસ્પિટલ ખાતે પણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં સતત સ્વચ્છતા જાળવી રાખવાના શપથ લીધા હતાં. જેમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી તથા તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતા તેમજ અન્ય તબિબો અને સ્ટાફ નર્સ, બ્રધર્સ સહિતના કર્મચારીઓ જોડાયા હતાં. શપથ લીધા બાદ સાંસદ-ધારાસભ્યોએ સ્વચ્છતા બાબતે તબિબી અધિક્ષક સાથે બેઠક યોજી હતી. તેમજ જુદા-જુદા વિભાગમાં ચેકીંગ કર્યુ હતું. બર્ન્સ વોર્ડ પાસે આવેલા જાહેર શોૈચાલયમાં પણ લટાર મારી હતી અને સંચાલકને સ્વચ્છતા રાખવા કડક તાકીદ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દીઓને સારવાર માટે ૧૫ વેન્ટીલેટર ઉપલબ્ધ હોવાનું તેમજ બીજી તમામ સુવીધા હોવાનું પણ આ તકે જણાવાયું હતું. હોસ્પિટલમાં દર્દીઓને અને સ્ટાફને કોઇ મુશ્કેલી ન પડે તે માટે પોતે સતત જાગૃત રહી દર પંદર દિવસે હોસ્પિટલની મુલાકાત લેશે તેમ ધારાસભ્યોએ જણાવ્યું હતું. હોસ્પિટલ સંકુલમાં જ નવા અદ્યતન બિલ્ડીંગનું નિર્માણ થઇ રહ્યું હોઇ આગામી સમયમાં દર્દીઓને વધુ સારામાં સારી સુવિધાઓ સાથે સારવાર મળી રહેશે તેમ પણ મહાનુભાવોએ જણાવ્યું હતું. તસ્વીરોમાં શપથ લઇ રહેલા સાંસદ, ધારાસભ્યો, તબિબી અધિક્ષક, બીજા તબિબો, નર્સિંગ સ્ટાફ તથા કર્મચારીઓ અને તબિબી અધિક્ષકની ચેમ્બરમાં બેઠક મળી તે તથા સોૈથી નીચે જાહેર શોૈચાલયની મુલાકાત લઇ તેના કોન્ટ્રાકટરને અહિ સ્વચ્છતા સતત જળવાઇ રહે તે માટે તાકીદ કરવામાં આવી તે જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)