નરેન્દ્રભાઈના જન્મદિન નિમિતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સેવાકાર્યો
રાજકોટમાં અંધ મહિલાઓને ભોજનઃ ઉપલેટામાં મેડીકલ કેમ્પ-સ્વચ્છતા અભિયાન
રાજકોટ, તા. ૧૫ :. ગરીબ, કિશાન, યુવા, મહિલા, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ પછાત વર્ગના કલ્યાણ માટે હંમેશા કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના તા. ૧૭ સપ્ટેમ્બરના જન્મદિવસને સેવા દિવસ તરીકે રાજકોટ જિલ્લા ભાજપા દ્વારા ઉજવવામાં આવશે. તેમ રાજકોટ જિલ્લા અધ્યક્ષશ્રી ડી.કે. સખીયા, જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો. ભરતભાઈ બોઘરાની સંયુકત યાદીમાં જણાવે છે.
રાજકોટ જીલ્લા અને તાલુકા મંડળના પ્રથમ ચરણમાં ૭૧ રાજકોટ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ નિમિતે તા. ૧૭ને સોમવારના રોજ અંધ મહિલા વિકાસ ગૃહ ખાતે તમામ દિવ્યાંગ મહિલાઓને પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. તેમજ સિવિલ હોસ્પીટલ, જનાના હોસ્પીટલ, બાળકોની હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.
મોદીજીના જન્મ દિવસે સેવા સપ્તાહના ભાગરૂપે તા. ૧૭ને સોમવારે ઉપલેટા ખાતે મેડીકલ ચેકઅપ કેમ્પ જેમાં વધુમાં વધુ ઝૂપડપટ્ટી, ગરીબ, દલિત વિસ્તારોમાં સ્વાસ્થ્ય શિબિરમાં જેમાં રસીકરણ, ગર્ભવતી મહિલાઓ તેમજ બાળકોને સ્વાસ્થ્યની ચકાસણી કરીને તેઓના સારા સ્વાસ્થ્ય સુવિધા હેતુ 'આયુષ્યમાન ભારત યોજના' અંગેની વ્યાપક માહિતી જનતાને પુરી પાડવામાં આવશે.
ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂપડપટ્ટી વિસ્તાર, ગરીબ-દલિત વિસ્તાર, પછાત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોટાપાયે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો યોજીને સ્વચ્છતા અંગેની જનજાગૃતિ લાવવામાં આવશે. કાર્યક્રમોમાં તમામ કાર્યકરોને ઉપસ્થિત રહેવા જણાવ્યુ છે.(૨-૭)