રાજકોટ
News of Saturday, 15th June 2019

બે સંતાનની માતા સાથેના પ્રેમમાં નિષ્ફળતા મળતાં ૧૯ વર્ષના કેતને મોત મેળવી લીધું

માંડા ડુંગર પાસે દેવકીનંદન સોસાયટી સત્યમ પાર્કમાં બનાવઃ પાનના ધંધાર્થી રાવળદેવ યુવાને ગળાફાંસો ખાઇ લીધોઃ એકના એક દિકરાના મોતથી પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૫: આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર પાસે દેવકીનંદન સોસાયટી મેઇન રોડ પર સત્યમ પાર્કમાં રોયલરાજ હોટેલ પાસે રહેતાં ૧૯ વર્ષના રાવળદેવ યુવાને બે સંતાનની માતા સાથેના પ્રેમમાં નિષ્ફળતા મળતાં ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

ઘટનાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી ડો. વંદનાબેન સોલંકી અને પાઇલોટ પૃથ્વીરાજસિંહે પહોંચ્યા હતાં. ઘરનો દરવાજો બંધ હોઇ તે તોડીને જોતાં અંદર કેતન ઇશ્વરભાઇ બોડા (ઉ.૧૯) લટકતો જોવા મળ્યો હતો. ઇએમટીની તપાસમાં તે મૃત્યુ પામ્યાનું જણાતા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ એએસઆઇ નિરંજનભાઇ જાનીએ આજીડેમ પોલીસને વાકેફ કરતાં પીએસઆઇ સી.અસ. આસુન્દ્રા અને રાઇટર યોગરાજસિંહે ત્યાં પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર કેતન એક બહેનથી નાનો અને અપરિણીત હતો. તેમજ માતા-પિતાનો એક જ પુત્ર હતો. તે ઘર પાસે જ પાનની દૂકાન ધરાવતો હતો. કેટલાક સમયથી તેને કોઇ બે સંતાનની માતા સાથે પ્રેમ થઇ ગયો હતો. તે આ મહિલા સાથે જ લગ્ન કરશે તેવી વાત પણ પોતાના માતાને કરી હતી. જો કે તે જેના પ્રેમમાં હતો એ મહિલાએ પોતે સંસાર બગાડીને બીજા લગ્ન ન કરી શકે તેમ કહેતાં કેતન આઘાતમાં ગરકાવ થઇ ગયો હતો અને સાંજે રૂમ બંધ કરી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:22 am IST)