સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોવીડ હોસ્પિટલ બંધ કોન્વેકશન સેન્ટર કોવીડ માટે ખાલી રખાશે
કુલપતિ નિતિન પેથાણી અને ટીમને અભિનંદન પાઠવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ
રાજકોટ તા. ૧૫ : તાજેતરમાં કોરોનાની બીજી સુનામી આવતા રાજકોટમાં બેડ ખૂટી પડયા હતા ત્યારે સામાજીક ઉત્તરદાયત્વિના ભાગરૂપે કુલપતિ નીતિન પેથાણીના નેતૃત્વમાં સરકાર સાથે સંકલન કરી સીન્ડીકેટ સભ્ય નેહલ શુકલ - મેહુલ રૂપાણીએ પ્રથમ કોવીડ કેર અને બાદમાં કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી.
એપ્રિલ માસમાં વધેલા કોવીડના કેસને ધ્યાનમાં લઇને ૨૦૦ બેડની કોન્વેકશન સેન્ટર ખાતે ઓકસીજન સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી કેસ ઘટતા અને યુનિવર્સિટીમાં માત્ર ૧૧ દર્દી દાખલ હતા. તેઓને સમરસ હોસ્ટેલ ખાતે ખસેડાયા હતા અને યુનિવર્સિટીની કોવીડ હોસ્પિટલ બંધ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોરોના કાળમાં કરેલી સેવાથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કુલપતિ પ્રો. નિતીન પેથાણી અને સત્તા મંડળના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોન્વેકશન સેન્ટર ખાતે હાલ કોવીડ હોસ્પિટલની તમામ સુવિધા યથાવત રાખવામાં આવશે. ભવિષ્યમાં જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાશે.
ICMRની મંજુરી મળ્યા બાદ ટુંક સમયમાં RT-PCR લેબની મંજુરી મળશે. જે ૫ કલાકના સમયમાં ૧૦૦ રીપોર્ટ તૈયાર કરી શકશે.