પ્રેમમાં પાગલ બની રૈયાધારના રમેશભાઇ અને પારૂબેને વાંકાનેર નજીક ઝેરી દવા પી લીધી
બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા
રાજકોટ,તા.૧૫: વાંકાનેરના ગાલીડા વાલીડા પાસે પ્રેમમાં પાગલ બની રાજકોટના યુવાન અને મહિલાએ ઝેરી દવા પી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મળતી વિગત મુજબ રૈયાધાર મફતિયાપરામાં રહેતા રમેશભાઇ માધાભાઇ વારસાંગીયા (ઉવ. ૪૬) સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય, ગઇ કાલે પોતાનું એકટીવા લઇને પુષ્કરધામ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા પારૂબેન રમેશભાઇ ચૌહાણ (ઉવ.૪૫)ને એકટીવા પાછળ બેસાડી બંને વાંકાનેરના ગાલીડા વાલીડા રોડ પર બંનેએ ઝેરી દવા પી લીધી હતી. બાદ રમેશભાઇએ વાંકાનેરમાં રહેતી બહેનને ફોન કરી જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં રમેશભાઇ દોઢ વર્ષ પહેલા એલઆઇસીમાં સીકયુરીટીગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ત્યારે પારૂબેન ચૌહાણ ત્યા સફાઇ કામ કરતા હોઇ તેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. દુનિયા એક નહી થવા દયે તેમ સમજી બંનેએ આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે. આ અંગે વાંકાનેર તાલુુકા પોલીેસે તપાસ હાથ ધરી છે.