બજરંગવાડી પુનિતનગરમાં નગ્મા હાલાનો ગળાફાંસો ખાઇ આપઘાત
સાસરિયા શંકા કરતાં હોવાનો મૃતકના પિતા આમદભાઇનો આક્ષેપ
રાજકોટ તા. ૧૫: બજરંગવાડી પુનિતનગર-૨ શેરી નં. ૮માં રહેતી નગ્માબેન સમીર હાલા (ઉ.૨૫) નામની મુસ્લિમ પરિણીતાએ મોડી રાત્રે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
રાત્રીના સાડા ત્રણ પછી પતિ સમીર હાલાની ઉંઘ ઉડતાં પત્નિ પથારીમાં જોવા ન મળતાં તપાસ કરતાં તેણી લટકતી જોવા મળતાં દેકારો મચાવતાં ઘરના બીજા સભ્યો ભેગા થઇ ગયા હતાં. ૧૦૮ના ઇએમટી વિજયભાઇ ગઢવીએ નગ્માબેનને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ એએસઆઇ ઉપેન્દ્રસિંહ ઝાલાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.
એએસઆઇ જયસુખભાઇ આહિરે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ નગ્માબેનની શાદી પાંચ વર્ષ પહેલા થઇ હતી. પતિ સમીર કોમોડીટી એજન્સીમાં નોકરી કરે છે. સંતાનમાં ચાર વર્ષની એક પુત્રી છે. તેણીના માવતર જંગલેશ્વરમાં રહે છે. પિતાનું નામ આમદભાઇ ખાનભાઇ બાંભણીયા છે. નગ્માબેન ચાર બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતી. પિતા આમદભાઇએ આક્ષેપ કર્યો હતો કે દિકરી પર સાસરિયામાં ખોટી શંકા થતી હોઇ તેણી ચિંતામાં રહેતી હતી. કદાચ આ કારણોસર તેણે આ પગલું ભર્યુ હોય તેમ સમજાય છે.
પતિએ આપઘાત પાછળ શું કારણ હોઇ શકે? તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું. પોલીસે આગળની તપાસ યથાવત રાખી છે.