ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે ?: કપાસીયા અને સીંગતેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો
રાજકોટ, તા. ૧૫ :. ખાદ્યતેલોમાં તેજીનોે દોર જારી રહ્યો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂ.નો ઉછાળો થયો છે.
સ્થાનિક બજારમાં કાચા માલની અછતના બહાને સટ્ટોડીયાઓ બેકાબુ બન્યા હોય તેમ ખાદ્યતેલોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)ના ભાવ ૧૫૫૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૧૫૬૦ રૂ. બોલાયા હતા. જ્યારે સીંગતેલ નવા ટીનના ભાવ ૨૬૧૦થી ૨૬૪૦ રૂ. હતા તે વધીને ૨૬૩૦થી ૨૬૫૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સીંગતેલની સાથે કપાસીયા તેલના ભાવમાં પણ ૧૦ રૂ.નો ભાવ વધારો થયો છે. કપાસીયા તેલ લુઝના ભાવ વધીને ૧૪૦૦ રૂ. તથા કપાસીયા ટીનના ભાવ વધીને ૨૩૩૦થી ૨૩૫૦ રૂ. થયા છે. છેલ્લા બે દિ'માં કપાસીયા તેલમાં ડબ્બે ૩૦ રૂ.નો ભાવ વધારો થયો છે.
ખાદ્યતેલોના ભાવો સતત વધતા પ્રજા કોરોનાના કહેર વચ્ચે મોંઘવારીના ચક્રમાં પણ પિસાઈ રહી છે. ખાદ્યતેલોમાં હવે કયારે તેજી અટકશે ? તેવો પ્રશ્ન લોકોમાં પુછાઈ રહ્યા છે. ખાદ્યતેલોના ભાવ કાબુમાંલેવા રાજ્ય સરકાર અસરકારક પગલા ભરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.