સગાઇ થતી ન હોય ડીપ્રેશનમાં આવી વિપુલ પરમારે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
રસુલપરા બજરંગ સોસાયટીમાં બનાવ : પરિવારમાં શોક
રાજકોટ,તા. ૧૫: રસુલપરા બજરંગ સોસાયટીમાં સગાઇ થતી ન હોય ડીપ્રેશનમાં આવી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ રસુલપરા પ્રાથમિક શાળાની સામે બજરંગ સોસાયટી શેરી નં. ૩માં રહેલા વિપુલ વસંતભાઇ પરમાર (ઉવ.૨૪)એ ગઇ કાલે પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો દવાખાનેથી ઘરે આવ્યા ત્યારે વિપુલને લટકતી હાલતમાં જોઇ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં તપાસનીય તબીબોએ તપાસ કરતા તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાનું જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. રમેશભાઇ ચૌહાણે તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક વિપુલ વાવડીમાં કારખાનામાં કામ કરતો હતો. તે ત્રણભાઇ અને બે બહેનમાં ચોથા નંબરનો હતો. તેની અઢી એક વર્ષ પહેલા સગાઇ તુટી ગયા બાદ સગાઇ થતી ન હોય તેથી ડીપ્રેશનમાં રહેતો હોય તેના લીધે તેને આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ હતું.