ડાંગરવાડા જેતાકુબાના રસ્તાના કામો મંજુરઃ ગોવિંદભાઇ પટેલ
રાજકોટ તા.૧૫: દાણીધાર નપાણીયા ખીજડીયાને જોડતો તેમજ નાનાવડાલા-ડાંગરવાડા-જેતાકુબાના રસ્તાના કામો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે મંજુર કરતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે આભાર વ્યકત કરેલ છે.
શ્રી પટેલે વધુમાં જણાવેલ કે દાણીધારની જગ્યાએ જતા રાજકોટના હજારો શ્રધ્ધાળુઓને દાણીધારની જગ્યામાં દર્શન કરવા જતા ૧૫ કિ.મી. જેટલો રસ્તો ટૂંકો થશે જે કાલાવડ થઇને દાણીધાર જતા હતા તે આ રસ્તો બનતા નિકાવા, પીપર, નપાણીયા ખીજડીયા થઇને દાણીધાર જઇ શકશે જેનો અંદાજીત ખર્ચ ર કરોડ દસ લાખ જેટલો થાય છે.
તે જ રીતે ઘણા સમયથી પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ બનેલ કાલાવડ તાલુકાના નાનાવાડાલા, ડાંગરવાડા, જેતાકુબાનો રસ્તો જે અતિ ખરાબ થઇ ગયેલ છે તે ૬ કિ.મી. રસ્તાને રી કાર્પેટ કરવાના કામે દોઢ કરોડ રકમ મંજુર કરેલ છે જેનાથી ગ્રામ્યજનોમાં ખુશીની લાગણી જન્મી હોવાનું ગોવિંદભાઇ પટેલે નિવેદનમાં જણાવ્યું છે.