કર્મકાંડ પુરૂ કરી પરત આવ્યા ત્યાં કારમાં જ ભૂદેવની જિંદગી પુરી થઇ ગઇ
સરધારના સર ગામે બનાવઃ વિઠ્ઠલભાઇ ભટ્ટને એટેક આવી ગયોઃ તેમણે વેંચી નાંખેલા આઇશરના હપ્તા ખરીદનારે ભર્યા ન હોઇ ઉઘરાણી થતી હોવાને કારણે ચિંતામાં હતાં
રાજકોટ તા.૧૫: સરધારના સર ગામમાં રહેતાં અને કર્મકાંડનું કામ કરતાં વિઠ્ઠલભાઇ નરેન્દ્રભાઇ ભટ્ટ (ઉ.વ.૪૮) નામના બ્રાહ્મણ આધેડ બપોરે કર્મકાંડનું કામ પુરૂ કરી ઇકો કારમાં બીજા ગામથી પોતાના ગામમાં પહોંચ્યા ત્યારે ઘર નજીક કારમાં જ હાર્ટએટેક આવી જતાં જિંદગી પુરી થઇ ગઇ હતી.
બનાવની જાણ ૧૦૮ મારફત થતાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ કડછા, કિરીટભાઇ રામાવત સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્ર છે. એક તેમની સાથે કર્મકાંડ કરે છે અને બીજો અભ્યાસ કરે છે. વિઠ્ઠલભાઇએ અગાઉ એક આઇશર લીધું હતું. તેની લોન ચાલુ હતી. ચાલુ લોને આ વાહન બીજાને વેંચ્યું હતું. ખરીદનારે ત્રણેક હપ્તા ન ભરતાં વાહન હજુ વિઠ્ઠલભાઇના નામે હોઇ તેની પાસે હપ્તાની ઉઘરાણી થઇ હતી. આ કારણે તેઓ કેટલાક દિવસથી ટેન્શનમાં હતાં અને આજે બાજુના ગામમાંથી કર્મકાંડ કરી પોતાના ઘર પાસે પહોંચ્યા ત્યાં કારમાં જ એટેક આવી જતાં મોત નિપજ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
અન્ય બનાવમાં ભગવતીપરા જયપ્રકાશનગર-૪માં રહેતાં જગદીશભાઇ મંગલભાઇ પાશી (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.