કોઠારીયાના વૃધ્ધા પુંજીબેન અને ઘંટેશ્વરની બાળા રેખાને અગન જ્વાળા ભરખી ગઇ
વૃધ્ધા પાણી ગરમ કરતાં હતાં અને બાળા ચા બનાવતી હતી ત્યારે સ્ટવમાં ભડકા થયા
રાજકોટ તા. ૧૫: દાઝી જવાના બે બનાવમાં કોઠારીયા ગામના વણકર વૃધ્ધા અને ઘંટેશ્વર ૨૫ વારીયાની ૧૬ વર્ષની બાળાના મોત નિપજ્યા છે.કોઠારીયાની જીવન કિરણ સોસાયટીમાં રહેતાં રહેતાં વણકર વૃધ્ધા પુંજીબેન માયાભાઇ સાગઠીયા (ઉ.૬૫) ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે ઘરે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સલિમભાઇ ફુલાણી અને દિપસિંહે આજીડેમ પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર પુંજીબેનને સંતાનમાં બે પુત્રો શામજીભાઇ અને નારણભાઇ તથા એક પુત્રી છે. પોતે ગઇકાલે સ્ટવ પર પાણી ગરમ કરતાં હતાં ત્યારે ભડકો થતાં દાઝી ગયાનું તેના પોૈત્ર ઉમેશભાઇએ જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં જામનગર રોડ ચીથરીયા પીરની દરગાહ પાસે ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી રેખા દેવરામભાઇ સોલંકી (ઉ.૧૬) ૧૬/૧ના ઘેર દાઝી જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી. તેનું ગત રાત્રે મોત નિપજ્યું છે. દોશી હોસ્પિટલથી જાણ થતાં ગાંધીગ્રામના હેડકોન્સ. ઘેલુભાઇ શિયારે જરૂરી કાર્યવાહી કરી હતી. ચા બનાવતી વખતે સ્ટવ ફાટતાં દાઝી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું. દિકરીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.