રાજકોટ
News of Thursday, 15th February 2018

બાળકી પર બળાત્કાર-હત્યાની તપાસનો દોર હવે એસીપીના હાથમાં: હવસખોર રમેશ કોળીનો જેલમાંથી કબ્જો લેવાયો

વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં જેલહવાલે થયો હતોઃ આજે થોરાળા પોલીસે કબ્જો મેળવ્યો

રાજકોટ તા. ૧૫:  નવા નાકા પાસેથી વ્હોરા વૃધ્ધાને રિક્ષામાં બેસાડી ભગવતીપરા લઇ જવાને બદલે નવાગામ પાસે સોખડા લઇ જઇ પથ્થર ફટકારી હત્યા કરી ૩૦ હજારના દાગીનાની લૂંટ કરનાર નવાગામ પીપળીયાના અને હાલ રખડતુ જીવન જીવતાં રમેશ બચુભાઇ વૈધુકીયા (કોળી) (ઉ.૨૬)એ જ ચુનારાવાડમાંથી ૩ વર્ષની બાળાનું અપહરણ કરી ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાં લઇ જઇ બળાત્કાર ગુજારી હત્યા નિપજાવ્યાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. હવસખોર હત્યારા નરપિશાચ એવા આ શખ્સને વ્હોરા વૃધ્ધાની હત્યા-લૂંટના ગુનામાં જેલહવાલે કરાયા બાદ આજે થોરાળા પોલીસે બાળકીના અપહરણ, બળાત્કાર, હત્યા, એટ્રોસીટીના ગુનામાં જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવ્યો છે. હવે આ તપાસનો દોર એસીપીએ સંભાળ્યો છે.

ગયા બુધવારે ૭/૨ના રોજ નવાનાકેથી રિક્ષામાં બેઠેલા વ્હોરા વૃધ્ધા અસ્માબેન સદીકોટ ગૂમ થયા બાદ બીજા દિવસે સોખડા પાસેથી તેની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી રમેશ કોળીને પકડ્યો હતો ત્યાં બીજી તરફ શુક્રવારે તા. ૯/૨ના રોજ ચુનારાવાડમાંથી ૩ વર્ષની આદિવાસી બાળા દિવ્યાનું અપહરણ થઇ ગયું હતું. એ પછી ૯મીએ આ બાળાનો હત્યા કરાયેલો નગ્ન મૃતદેહ રવિવારે ૧૧મીએ ગંજીવાડા પીટીસીના પટના ખંઢેરમાંથી મળ્યો હતો. એ માસૂમ ફૂલડાનો દેહ પણ પીંખાયો હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો હતો. 

આ ભેદ ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની રાહબરીમાં  આઠ-આઠ ટીમો કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજને આધારે મળેલી ચોક્કસ કડી પરથી વૃધ્ધાનો હત્યારો રમેશ કોળી જ બાળાનો હત્યારો હોવાનું પણ સામે આવ્યું હતું. બબ્બે હત્યા, અપહરણ, લૂંટ, બળાત્કાર જેવા ગુના બે દિવસમાં આચરનારા આ હવસખોર નરપિશાચને જરાપણ અફસોસ નહોતો. બાળાની હત્યાના ગુનામાં એટ્રોસીટી પણ ઉમેરાઇ હોઇ એસસીએસટી સેલના એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં તપાસ આગળ વધારાઇ છે. પી.આઇ. એન. એન. ચુડાસમા, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, રાજેશભાઇ પરમાર સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે. હવે આ ગુનામાં રમેશના અલગથી રિમાન્ડ મેળવાશે.

(4:54 pm IST)