પુસ્તક પરિચય ધન્વી-માહી
સ્વચ્છતાઃ આપણો રાષ્ટ્રધર્મ
'સ્વચ્છતા'ના વિષયને લઈને રેખા દવેએ લેખક, ચિંતક, શિક્ષક, સમાજસેવક, પત્રકાર, વૈજ્ઞાનિક વગેરેને પોતાના અનુભવ, વિચાર લખી મોકલવા નિમંત્રણ પાઠવ્યું. તેનો અપૂર્વ પ્રતિસાદ સાંપડયો, વિવિધ ક્ષેત્રના ૨૮ લેખોનું સંપાદન આ પુસ્તકમાં છે જે સ્વચ્છતાના અભિયાનનું વિઝન, મિશન અને એકશન ત્રણેય પરિમાણોને ઉદ્ઘાટિત કરે છે.
રેખા દવેએ પુસ્તકનું નામ સ્વચ્છતાઃ આપણો રાષ્ટ્રીય ધર્મ રાખીને પોતાની સામાજિક પ્રતિબધ્ધતા દર્શાવી છે. પ્રકાશક પ્રવીણ પ્રકાશન પ્રા.લિ.એ પણ સ્વચ્છતાને પોતાનો રાષ્ટ્રધર્મ ગણીને ગ્રંથને ઉમળકાથી સજાવ્યો છે. આજે જયારે સમાજનાં અંગ- પ્રત્યાંગમાં બજારવાદે જોર પકડયું છે. ત્યારે આ વિષયના પુસ્તકો (૩૩૬ પૃષ્ઠ, રોયલ સાઈઝ, સુપર પ્રિન્ટીંગ પેપર) પાકા પૂઠાનું ગ્લેઝીંગ પેપર પર કલર ફોટા સાથેનું ટાઈટલ આવું સુંદર પ્રકાશન પ્રસિધ્ધ કરવાનું સાહસ તો વિરલા જ કરે. આપણે જાણીએ છીએ કે પ્રવીણ પ્રકાશન આ દિશામાં નવી કેડી કંડારનાર સાહસિક પ્રકાશક છે. તેથી જ સાહિત્ય જગતમાં ગોપાલભાઈ માંકડીયા એક વ્યાવસાયિક પ્રકાશક કરતાં સામાજિક પ્રતિબધ્ધ પ્રકાશક તરીકે આદર પામતા રહ્યા છે. કુશળ સંપાદકો આ પુસ્તકમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોના માત્ર ખયાલીપુલાવ રજુ નથી કર્યા પરંતુ અમલની એરણ ઉપર ખરા ઉતરેલા કાર્ય-વ્યવહારો રજુ કર્યા છે. વરિષ્ઠ વિજ્ઞાન પત્રકાર નગેન્દ્રવિજયજી બાયોટોઈલેદ વિશે માહિતી આપે છે. તો માહી મિલ્ક પ્રોડ્યુસરના જનસંપર્ક અધિકારી ગૌપાલન અને ડેરીઉદ્યોગ ક્ષેત્રે સ્વચ્છતા માટે ધ્યાન રાખવા જેવી બાબતો લખે છે. ઉચ્ચ કક્ષાના પર્યાવરણ વિદ્દ અને વૈજ્ઞાનિક ડો.અશોક દવે ઉદ્યોગો અને સ્વચ્છતાના વિષયની સાથે પર્યાવરણના સંદર્ભે ખૂબ ઝીણું કાંતે છે. તેઓ મોટા ભાગના ગૃહઉદ્યોગોને હૈઝન સંસ્થા દ્વારા ઘોષિત 5 "S" નામના કાર્યક્રમનો અમલ કરવા સૂચવે છે. તો 'ઘેર બેઠા ગંગા' જેવા લેખમાં વિનોદ માંગુકિયા ઘરઆંગણે વરસાદી પાણીના જળસંચય માટે ભૂગર્ભટાંકા બનાવીને અન્યને પ્રેરણા અને સલાહ આપે છે અને કેટલાંય લોકો, સંસ્થાઓએ વિનોદ માંગુકિયાના આ અભિગમ- પ્રયોગને અપનાવેલ છે. ડો.રવીન્દ્ર અંધારિયાએ પોતાના અભ્યાસ હાલના અનુભવે આલેખીને ગ્રામ સફાઈ જેવા કાર્યક્રમો શાળા, યુવક તથા મહિલામંડળોને અપનાવવા સૂચવ્યું છે.
ટૂંકમાં, તમામ લેખકોના સ્વાનુભવનું તત્વ તેમના લેખને વાચનક્ષમ બનાવે છે. આ પુસ્તક સ્વચ્છતા અભિયાન પરત્વે વાચકોમાં સક્રિયતા લાવવામાં સફળ નીવડશે. આ પુસ્તક ભારતના પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્રભાઈ મોદીને સાદર અર્પણ થયું છે અને સંપાદક રેખા દવેને પ્રધાનમંત્રીની સહિ કરેલ સ્વીકારપત્ર અભિનંદન સાથે પ્રાપ્ત થયો છે જે આપણા સહુ માટે ગૌરવપ્રદ છે.
વિવેચકઃ ડો.રવીન્દ્ર અંધારિયા,
સંપાદકઃ રેખા દવે,
પ્રકાશકઃ પ્રવિણ પ્રકાશન પ્રા.લિ.રાજકોટ
પૃષ્ઠઃ૩૩૬, કિંમતઃ રૂ.૩૭૫