રાત્રી કરફયુ યથાવત રાખો : લગ્ન વગેરેમાં ૧૫૦ લોકોની મર્યાદા નહિ ઘટાડતાઃ ચેમ્બર
મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને રજુઆત
રાજકોટ,તા. ૧૫ : સમગ્ર દેશ તથા રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થયેલ છે. અગાઉના કપરાં સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાને કાબુમાં લેવા પ્રસંશનીય કામગીરી કરાયેલ છે જે સરાહનીય છે. કોરોનાના કપરાકાળમાં વેપાર-ઉદ્યોગો પછી ભાંગ્યા છે. જેમાંથી તેઓ માંડ-માંડ ઉજાગર થઇ રહ્યા છે.
હાલમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં રાત્રી કર્ફયુમાં સમય રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધીનો કરેલ છે. જેના કારણે વેપાર-ઉદ્યોગકારોને પણ મુશ્કેલી પડી રહી છે. તેવામાં રાજ્ય સરકાર રાત્રી કર્ફયુનો સમય રાત્રીના ૯ થી સવારના ૬ કરવાનો વિચારી રહ્યા છે જેના કારણે ખુબ જ મુશ્કેલીઓ ઉદભવી શકે તેમ છે અને વેપાર-ઉદ્યોગો પર વિપરીત અસર પડી શકે તેમ છે. તેથી રાત્રી કફર્યુનો સમય રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી યથાવત રાખવા સમગ્ર વેપારી આલમ વતી આગ્રહ પૂર્વક અનુરોધ કરેલ છે. સાથો સાથે રાજય સરકાર દ્વારા લગ્ન પ્રસંગ કે અન્ય ધાર્મિક કાર્યો મિટીંગો વિગેરેમાં ૧પ૦ માણસોની મંજૂરી આપેલ છે. તેમાં પણ લોકલાગણીને માન્ય રાખી લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યો માટે ૧પ૦ માણસોની મંજૂરી યથાવત રાખી તેમાં ઘટાડો ન કરવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલજી તથા ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીજીને રજૂઆત કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબાર યાદીમાં જણાવેલ છે.