સંક્રાંત પર્વ પર સીપી, ડીસીપી,એસીપીનું ટીમો સાથે પેટ્રોલીંગ
આજથી લગ્નોત્સવ શરૃ થવાના હોઇ કોરોનાની માર્ગદર્શિકા-નિયમોનું પાલન કરવા મનોજ અગ્રવાલનો અનુરોધ
રાજકોટઃ શહેરમાં મકર સંક્રાંતિ પર્વની શાંતિપુર્વક ઉજવણી થાય અને સાથે કોરોનાને લગતી સરકારની માર્ગદર્શિકા તથા પોલીસ કમિશનરના જાહેરનામાનો પણ અમલ કરવામાં આવે તે માટે શહેરના તમામ પોલીસ મથકના પીઆઇ અને તેમની ટીમોએ સવારથી રાત સુધી શહેરભરમાં પેટ્રોલીંગ કરી બંદોબસ્ત જાળવ્યો હતો. બપોરે ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પણ કાફલા સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. તેમની સાથે ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા તથા બીજા અધિકારીઓ પણ જોડાયા હતાં. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરીજનોએ સંક્રાંતિ પર્વમાં નિયમોનું પાલન કરી ડીજે નહિ વગાડી પોલીસને સહકાર આપ્યો તે માટે આભાર વ્યકત કર્યો હતો. તેમજ આજ ૧૫મીથી કમુરતા ઉતરતાં લગ્ન પ્રસંગોનો ધમધમાટ શરૃ થવાનો હોઇ તેમાં પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવા અને ૧૫૦ લોકોની મર્યાદા નક્કી થઇ હોઇ તે નિયમનું પણ પાલન કરવા શ્રી અગ્રવાલે અનુરોધ કર્યો છે.