રાજકોટ
News of Friday, 15th January 2021

માધાપર ચોકડીએ તિરૂપતિ કુરીયરની ગાડી અને ટ્રેકટરના અકસ્‍માતમાં ખંભાળીયાના યુવાનનું મોત

સંજય પરમાર રાજકોટથી ખંભાળીયા જવા નીકળ્‍યો ને કાળ ભેટયો

રાજકોટ તા. ૧૫: મોડી રાતે માધાપર ચોકડીથી માધાપર ગામ તરફના રસ્‍તા પર ટ્રેકટર સાથે રાજકોટના તિરૂપતી કુરિયરની સુઝુકી સુપર કાર્ગો ગાડી અથડાતાં તેના ચાલક જામખંભાળીયા ગાયત્રીનગરના સંજયભાઇ પાંચાભાઇ પરમાર (સતવારા) (ઉ.વ.૩૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.

સંજયભાઇને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

મૃતક સંજયભાઇ કુરિયરના પાર્સલના રાજકોટથી ખંભાળીયા સુધી ફોરવ્‍હીલર વાહનમાં ફેરા કરતો હતો. રાતે ખંભાળીયા જવા નીકળ્‍યો ત્‍યારે માધાપર ચોકડીએ અકસ્‍માત નડયો હતો. મૃતક બે ભાઇમાં મોટો અને અપરિણિત હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:45 pm IST)