રાજકોટ
News of Wednesday, 15th January 2020

ગોકુલનગરમાં માનસીક બીમારીથી કંટાળી બીહારની ઇન્દુ મહંતોએ ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

એકલવાયુ જીવનથી કંટાળી કુબલીયાપરામાં રવી સોલંકીનો ઝેર પી આપઘાત

રાજકોટ તા.૧પઃ શહેરના ગોકુલનગરમાં રહેતી બીહારી સગીરાએ માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગોકુલનગર શેરી નં.રમાં રહેતી ઇન્દુ મુસાફીરભાઇ મહંતો (ઉ.વ.૧પ) નામની સગીરાએ પોતાના ઘરે લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ કરતા ૧૦૮ના ઇએમટી કીશનભાઇ રાજાણીએ તપાસ કરતા સગીરાનું મોત નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. સૂર્યકાંતભાઇ તથા રાઇટર અરૂણભાઇ સહીતે સ્થળપર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ઇન્દુ એક ભાઇમાં મોટી હતી. માનસીક બીમારીથી કંટાળી આ પગલુભર્યું હોવાનું ખુલ્યુ હતું.

જયારે બીજા બનાવમાં કુબલીયાપરામાં રહેતા રવીભાઇ અમરશીભાઇ સોલંકી (ઉ.વ.૩પ)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જાણ થતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.કે. પરમાર તથા રાઇટર યુવરાજસિંહએ તપાસ હાથ ધરી હતી. મૃતક રવી ત્રણભાઇમાં નાનો હતો તે રીક્ષા ચલાવતો હતો. પત્ની પુત્ર અને પુત્રીને લઇને પંજાબ જતી રહ્યા બાદ પોતે એકલા રહેતા હતા. આથી એકલવાયુ જીવનથી કંટાળી તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યું હતું.

(3:53 pm IST)