પતંગ - દોરાને કારણે ૮ પક્ષીના કરૂણ મોત : ૩૩૧ કબૂતર ઘાયલ : ૮૫ ટકાના પાંખ - ગળા કપાયા
કલેકટર તંત્ર - કરૂણા અભિયાન દ્વારા આખો દિવસ ઓપરેશન કામગીરી
રાજકોટ તા. ૧૫ : મકરસંક્રાંતિ પર્વ રાજકોટની પ્રજાએ મનભરીને માણ્યું, પરંતુ પક્ષીઓ - ભોળા પારેવડા ઉપર કાળચક્ર ફરી વળ્યું હોય તેમ રાજકોટમાં ૩૫૦ જેટલા પક્ષીઓ ઘાયલ થયાનું કરૂણા અભિયાન - કલેકટરના કન્ટ્રોલરૂમ ઉપરથી જાણવા મળ્યું હતું.
કાળમુખા પતંગ - દોરાને કારણે લોહીલૂહાણ થવાથી ૮ પક્ષીના કરૂણ મોત નીપજ્યાનું જાહેર કરાયું હતું. જ્યારે ૩૩૧ પક્ષી ઘાયલ થયાનું અને સાંજ બાદ વધુ ૧૮થી ૨૦ પક્ષી હોવા સાથે કુલ ૩૫૦ પક્ષીઓ ઇજાગ્રસ્ત બન્યાનું જાહેર કરાયું હતું.
જે ઘાયલ થયા તેમાં ૩૩૧-કબૂતર, ૧-કોયલ, ૧-લવબર્ડ, ૨-ચકલી, ૧-બગલો, ૩-રાણકાગડી, ૨-હોલા, ૧-સમડી, ૧-ઘુવડ અને ૧-ચામાચીડયાનો સમાવેશ થાય છે.
ઉપરોકત ૩૫૦માંથી ૮૫ ટકા પક્ષી પાંખ કપાવાથી કે ગળા કપાવાથી ઇજાગ્રસ્ત બન્યા હતા, તમામને તાબડતોબ ગોંડલ ચોકડી પાસે આવેલ એનીમલ હોસ્પિટલ ખાતે સારવાર આપી બચાવી લેવાયા હતા.