સગાઇ તૂટી જતાં નવાગામના પ્રવિણ કોળીએ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યુ
બપોરે બાર વાગ્યે સગાઇ ફોક થઇ, ત્રણ વાગ્યે નાગલપર મંગેતરના ઘર પાસે જઇ પગલુ ભર્યુ
રાજકોટ તા. ૧૪: નવાગામ આણંદપર સાત હનુમાન સામે રહેતાં પ્રવિણ બાબુભાઇ અઘોલા (ઉ.વ.૨૪) નામના કોળી યુવાને કુવાડવાના નાગલપર ગામે પૂર્વ મંગેતરના ઘર પાસે જઇ શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. સગપણ તૂટી જતાં તેણે આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ પ્રવિણે ગઇકાલે નવાગામ ઘરેથી નીકળી ગઇ બપોેર ત્રણેક વાગ્યા આસપાસ તેનું સગપણ જે ગામમાં થયું હતું તે નાગલપર ગામે પહોંચી મંગેતરના ઘર નજીક પહોંચી પોતાના શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં આગ બુઝાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલે દોડી આવ્યા હતાં અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં.
ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. અગ્નિસ્નાન કરનાર પ્રવિણ બે ભાઇ અને એક બહેનમા વચેટ છે તથા ઇમિટેશનનું કામ કરે છે. તેની સગાઇ નાગલપર થઇ હતી. ગઇકાલે બપોેર બારેક વાગ્યે તેણે મંગેતર સાથે વાતચીત કરી હતી અને એ પછી સગાઇ ફોક કરી હતી. ત્યારબાદ દુઃખી થઇ બપોરે ત્રણ વાગ્યે નાગલપર પહોંચ્યો હતો અને આ પગલું ભર્યુ હતું. તે સારવાર હેળ છે.