ઝીલમીલ સીંગતેલ અને ગોરસ શુધ્ધ ઘી (લુઝ)ના નમૂના ફેઇલ
કોઠારીયા રોડ પરનાં ગોરસ ધી સેન્ટરના શુધ્ધ ઘીમાં વેજીટેબલ-તલનાં તેલની ભેળસેળ ખુલીઃ રૈયા રોડ યશ એન્ટરપ્રાઇઝમાંથી ઝિલમીલ બ્રાન્ડ સીંગતેલમાં 'એફ.એસ.એ.આઇ.'નો લોગો ન હોવાથી મીસ બ્રાન્ડેડઃ જાહેર
રાજકોટ, તા., ૧૪: મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ ખાદ્યપદાર્થોના નમુના પૈકી ઝીલમીલ બ્રાન્ડ સીંગતેલ (મગફળી તેલ) અને ગોરસ ઘી સેન્ટરમાંથી લીધેલા શુધ્ધ ઘીના નમુના ફેઇલ થયાનો રીપોર્ટ આવ્યો છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ સતાવાર જાહેર કર્યા મુજબ રાજય સરકારના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલ ગોરસ ઘી સેન્ટરમાંથી શુધ્ધ ઘી (લુઝ)નો નમુનો લઇ રાજય સરકારની ફુડ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપેલ. જેની તપાસમાં આ શુધ્ધ ઘીમાં તલના તેલ અને વેજીટેબલ ફેટની ભેળસેળ જોવા મળેલ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા આ નમુન ફેઇલ થયો છે. આ ઉપરાંત રૈયા રોડ ઉપર આવેલ યશ એન્ટરપ્રાઇઝમાંથી ૧પ કિલો ઝીલમીલ બ્રાન્ડ મગફળી શુધ્ધ સીંગતેલના પેક ટીનનો નમુનો લઇ સરકારની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયેલ. જેમાં એફએસએસએઆઇ નો લોગો દર્શાવેલ ન હોય આ નમુનો સબ સ્ટાન્ડર્ડ જાહેર કરી નાપાસ કરાયો છે. હવે આ બાબતે ઉત્પાદક અને વેપારીઓ સામે નિયમત મુજબ કાર્યવાહી થશે.